જબલપુર ક્રૂઝ દુર્ઘટના: બરગી ડેમમાં 13 જિંદગીઓ હોમાઈ, પાંચ દિવસ બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ
Live TV
-
મધ્યપ્રદેશના જબલપુર વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે બરગી ડેમ ખાતે છેલ્લા ગુમ થયેલ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે(3 મે) કામરાજ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતાની સાથે જ, 30 એપ્રિલની સાંજે ભીષણ તોફાન દરમિયાન પ્રવાસી ક્રૂઝ બોટ પલટી જવાની ઘટના બાદ ચાલી રહેલી ઘણા દિવસોની શોધખોળનો અંત આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક હવે 13 પર પહોંચ્યો છે.
રવિવારે સવારે જ આ દુર્ઘટના વધુ કરુણ બની હતી જ્યારે તિરુચિરાપલ્લીના રહેવાસી અને કામરાજના ભત્રીજા 9 વર્ષીય મયુરનનો મૃતદેહ અકસ્માત સ્થળ પાસેથી મળી આવ્યો હતો. આ પહેલા શનિવારે બચાવ ટુકડીઓએ 4 વર્ષના વિરાજ સોની અને 6 વર્ષના શ્રી તમિલના મૃતદેહો શોધી કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સ્થાનિક રહીશો અને સત્તાવાર બચાવ ટુકડીઓના સંયુક્ત પ્રયાસોથી 28 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ અકસ્માત 30 એપ્રિલના રોજ સાંજે આશરે 5:30 વાગ્યે ખમરિયા ટાપુ પાસે સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અચાનક ત્રાટકેલા ભીષણ તોફાન અને ઉછળતા મોજાઓના કારણે બોટે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તે પલટી ગઈ હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મુસાફરોને પ્રતિક્રિયા આપવાનો સમય જ મળ્યો ન હતો. બચાવ કામગીરી દરમિયાન એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું, જેમાં મરીના મેસી નામની મહિલાનો મૃતદેહ તેના 4 વર્ષના પુત્ર ત્રિશાનને છાતી સરસો ચાંપી રાખેલી હાલતમાં મળ્યો હતો. તેણે બાળકને બચાવવાના પ્રયાસમાં તેને પોતાની જ લાઈફ જેકેટની અંદર સુરક્ષિત રીતે બાંધ્યો હતો, જે જોઈને બચાવકર્મીઓ પણ ભાવુક થઈ ગયા હતા.
તપાસમાં સલામતીના નિયમોના ભંગની ગંભીર વિગતો બહાર આવી છે:
ઓવરલોડિંગ: અહેવાલ મુજબ માત્ર 29 લોકોની ટિકિટ ઈશ્યૂ કરવામાં આવી હતી, પરંતુ બોટ ડૂબી ત્યારે તેમાં 40થી વધુ પ્રવાસીઓ સવાર હતા.
ચેતવણીની અવગણના: હવામાન વિભાગ દ્વારા 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવી હોવા છતાં બોટને રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી.
લાઇફ જેકેટનો અભાવ: અનેક મુસાફરોએ અકસ્માત સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાનું પણ સામે આવ્યું છે.ઘણા પીડિતોના મૃતદેહોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. મેસી પરિવારના ત્રણ સભ્યોના પાર્થિવ દેહ શનિવારે નવી દિલ્હી મોકલાયા હતા, જ્યારે એ જ જૂથની બે મહિલાઓના મૃતદેહો એર કાર્ગો દ્વારા કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે. શરૂઆતી બચાવ કામગીરી સ્થાનિક માછીમારો અને ખેડૂતોએ કરી હતી, જેમણે આર્મી, NDRF, SDRF અને પોલીસ પહોંચે તે પહેલા 15 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. હાલમાં વહીવટીતંત્ર ડેમ પર સુરક્ષા પ્રોટોકોલની દેખરેખમાં થયેલી ક્ષતિઓ અંગે તપાસનો સામનો કરી રહ્યું છે.
