ડંકુની–સુરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના તાત્કાલિક અમલીકરણ માટે નિર્દેશો અપાયા
Live TV
-
રેલવે બોર્ડે નવા જાહેર કરાયેલા ડંકુની–સુરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના તાત્કાલિક અમલીકરણ માટે નિર્દેશો આપ્યા છે.ભારતીય રેલવે દ્વારા કેન્દ્રીય બજેટ 2026માં જાહેર કરાયેલા નવા પ્રસ્તાવિત ડંકુની–સુરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC)ના ત્વરિત અમલીકરણ માટે ફાસ્ટ-ટ્રેક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભારતીય રેલવે દ્વારા કેન્દ્રીય બજેટ 2026માં જાહેર કરાયેલા નવા પ્રસ્તાવિત ડંકુની–સુરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC)ના ત્વરિત અમલીકરણ માટે ફાસ્ટ-ટ્રેક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.માનનીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ફ્રેઇટ કોરિડોરના સમયબદ્ધ અમલીકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપી છે.
લગભગ 2,100 કિમી લાંબો પ્રસ્તાવિત નવો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ડંકુનીથી સુરત સુધી જશે, જે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થશે. આ કોરિડોર પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચેના માલ પરિવહનને અત્યંત સુગમ બનાવશે, લોજિસ્ટિક્સને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવશે, માલગાડીઓના આવાગમન સમયને ઘટાડશે તેમજ ભારતીય રેલવેના હાલના માર્ગો પરની ભીડને પણ ઘટાડશે.
કોરિડોર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ના અધિકારીઓને નવીનતમ ફ્રેઇટ લોજિસ્ટિક્સ ટેક્નોલોજીને સમાવેશ કરતાં યોગ્ય ટેકનિકલ ધોરણોને વહેલી તકે અંતિમરૂપ આપવા સૂચનાઓ આપવામાં આવી છે. વિચારાધીન મુખ્ય વિશેષતાઓમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતી વિદ્યુતીકરણ પ્રણાલી, સમપાર રહિત (નિલ-લેવલ ક્રોસિંગ) સંરચના તેમજ ‘કવચ’ જેવી અદ્યતન સિગ્નલિંગ પ્રણાલીનો સમાવેશ થાય છે, જેના દ્વારા સુરક્ષામાં વધારો અને વધુ વહન ક્ષમતા સુનિશ્ચિત થશે.
ડંકુની–સુરત કોરિડોરની વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ને નવીનતમ ખર્ચ આકલન અને સુધારેલી સમયમર્યાદા સાથે અપડેટ કરવામાં આવશે. અપડેટ થયેલી DPR દ્વારા વધુ સારી યોજના, બજેટ નિર્ધારણ અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત થશે. ઝડપી અને સમકાલીન અમલીકરણ માટે કોરિડોરને યોગ્ય વિભાગોમાં વહેંચવામાં આવશે. દરેક વિભાગ માટે સમર્પિત કોર ટીમોને અંતિમરૂપ આપી ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે, જે પ્રગતિની નજીકથી દેખરેખ રાખશે.રેલવે બોર્ડે નિર્દેશ આપ્યો છે કે પૂર્વ-નિર્માણ સંબંધિત તમામ પ્રવૃત્તિઓની વ્યાપક ઓળખ કરીને તેને ફાસ્ટ-ટ્રેક કરવામાં આવે તેમજ પ્રોજેક્ટના અમલીકરણમાં કોઈપણ વિલંબ ટાળવા માટે કરાર દસ્તાવેજોની તૈયારી પણ સમકક્ષ રીતે શરૂ કરવામાં આવે.
આ કોરિડોર માટે યોગ્ય માનવ સંસાધન આવશ્યકતાઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. ત્વરિત અને સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડને સાપ્તાહિક ધોરણે કરવામાં આવેલી કાર્યવાહી, પ્રાપ્ત પ્રગતિ તથા અપેક્ષિત સહયોગ વિશે માહિતી આપવામાં આવશે.
