નવી દિલ્હીમાં "ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ ઓન ફોરેન્સિક સાયન્સ અને પ્રોસિક્યુશન" ઉદ્ઘાટન
Live TV
-
NFSU ભારતના ફોરેન્સિક ઇકોસિસ્ટમના ભવિષ્ય માટેની એક વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંસ્થા: ગોવિંદ મોહન
કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્વારા 'મુખ્ય અતિથિ' તરીકે ઉપસ્થિત રહીને એક દિવસીય "ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ ઓન ફોરેન્સિક સાયન્સ અને પ્રોસિક્યુશન" પર તા.15 મે, 2026ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મંચસ્થ મહાનુભાવોમાં આલોક રંજન, IPS, ડાયરેક્ટર જનરલ-BPR&D; પ્રશાંત લોખંડે, IAS, અધિક સચિવ (WS), MHA; સતપાલ ચૌહાણ, IES, D.G. એવોર્ડ્સ, MHA; પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કાર્યકારી કુલપતિ-NFSU; ડૉ. એસ.કે. જૈન, ડાયરેક્ટર-કમ-ચીફ ફોરેન્સિક સાયન્ટિસ્ટ-DFSS; અને સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ સચિવ, ગોવિંદ મોહનએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના સતત માર્ગદર્શન હેઠળ, ભારત સરકારે વિશ્વની સૌથી અદ્યતન અને વૈજ્ઞાનિક રીતે મજબૂત ફોજદારી ન્યાય પ્રણાલી બનાવવા માટે ભાવિ રૂપરેખા તૈયાર કરી છે. ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી પાંચ સ્તંભો પર આધારિત છે. જેમાં પોલીસ, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન, જેલ અને અદાલતનો સમાવેશ થાય છે. દાયકાઓથી, આ સ્તંભો સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા હતા, જે તેની કાર્યક્ષમતા અને સુસંગતતાને મર્યાદિત કરે છે. ગૃહ મંત્રાલયે આ પાંચેય સ્તંભોને સંયુક્ત રીતે કાર્ય કરે તેવા હેતુ સાથે સીમાચિહ્નરૂપ પરિષદનું આયોજન કર્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (FSLs) અને કાર્યવાહી વિભાગોમાં ભરતીને વેગ આપવા અને NFSU ડિગ્રી સહિત સમકાલીન ફોરેન્સિક લાયકાતોનો સમાવેશ કરવા જેવા મુખ્ય પગલાંને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. તમામ જિલ્લાઓને અસરકારક રીતે આવરી લેવા માટે પર્યાપ્ત માત્રામાં મોબાઇલ ફોરેન્સિક વાનની ખરીદી કરવી. ઈ-ફોરેન્સિક્સ 2.0 અને ઈ-પ્રોસિક્યુશન 2.0 ને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે. કેસની સમયરેખા સુવ્યવસ્થિત કરવા માટે મિશન-મોડ વ્યૂહરચનાઓનો અમલ થાય. મહત્ત્વપૂર્ણ કેસોમાં સુરક્ષા સાથે કાનૂની જોગવાઈઓનો ઉપયોગ કરો. પોલીસ, પ્રોસિક્યુટર, ફોરેન્સિક નિષ્ણાતો અને તબીબી અધિકારીઓ માટે સંયુક્ત તાલીમનું આયોજન કરો. FSLમાં માન્યતા, ગુણવત્તા ખાતરી અને ચેન ઓફ કસ્ટડીને મજબૂત બનાવો. અદાલતોમાં પુરાવા રજૂ કરવા માટે વિડિઓ કોન્ફરન્સિંગને ડિફોલ્ટ મોડ બનાવો.
ગોવિંદ મોહને સમજાવ્યું કે ભારત સરકાર દેશભરમાં ફોરેન્સિક માળખાને આધુનિક બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝના વિસ્તરણ માટે કાર્ય ચાલી રહ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના વધુ કેમ્પસ બનાવવામાં આવી રહ્યા છે. NFSU ભારતના ફોરેન્સિક ઇકોસિસ્ટમના ભવિષ્ય માટેની એક વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંસ્થા છે. NFSU ફોરેન્સિક ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવામાં મદદ કરી રહી છે. રાજ્યો આ ફોરેન્સિક ક્ષેત્રે કુશળ માનવબળની ભરતી માટે કેટલાંક નિયમોમાં સુધારો કરે. સમયસર ન્યાય અને વૈજ્ઞાનિક તપાસ માટે ભારતના તમામ જિલ્લાઓમાં મોબાઇલ ફોરેન્સિક વાન ઉપલબ્ધ થાય.
આ પ્રસંગે ગૃહ મંત્રાલયના અધિક સચિવ (WS) પ્રશાંત લોખંડે, IASએ આધુનિક, પુરાવા-આધારિત ફોજદારી ન્યાય માળખું બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)ના ડાયરેક્ટર જનરલ, આલોક રંજન, IPS એ પોતાના સંબોધનમાં ઝડપી ન્યાય માટે મજબૂત સંકલન, વધુ ક્ષમતા-નિર્માણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
NFSUના કાર્યકારી કુલપતિ, પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે તા.12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં AI-171 ક્રેશ પછી, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ પીડિતોની ઓળખ કરવા માટે DNA પ્રોફાઇલિંગનું કાર્ય અત્યંત ઝડપી ગતિએ કર્યું હતું. "આત્મનિર્ભર ભારત"ના વિઝનને સાકાર કરવા માટે, NFSU એ અત્યાધુનિક સંશોધન અને નવીનતા દ્વારા ફોરેન્સિક તપાસ માટે 20થી વધુ મેક-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો વિકસાવ્યા છે. CFSLના ડાયરેક્ટર, ડૉ. એસ.કે. જૈને દોષસિદ્ધિના દરને વધારવામાં ફોરેન્સિક વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
સમાપન સમારોહમાં, મયંક મિશ્રા, ડાયરેક્ટર (WS)-MHA એ આભારવિધિ કરી હતી. આ પરિષદમાં ભારતના વિવિધ રાજ્યોના અધિક મુખ્ય સચિવો (ગૃહ), પોલીસ મહાનિદેશકો, કાયદા સચિવો અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર્સ સહિત વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
