પશ્ચિમ એશિયા સંકટ પર ભારતની સ્પષ્ટ અપીલ: સંવાદ જ ઉકેલ, ભારતીયોની સુરક્ષા સર્વોપરી
Live TV
-
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ પર ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને હિંસા રોકીને સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવા મક્કમ અપીલ કરી છે. ખાડી દેશોમાં વસતા અંદાજે એક કરોડ ભારતીયોની સુરક્ષા સરકાર માટે સર્વોપરી છે, સાથે જ વેપારી જહાજો પર થતા હુમલા અને તેનાથી ઊર્જા પુરવઠા પર પડતી અસર અંગે પણ ભારતે લાલ આંખ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય દૂતાવાસો સતત નાગરિકોના સંપર્કમાં છે અને પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રી વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરીને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
ભારતે મંગળવારે જણાવ્યું હતું કે તે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ઊંડી ચિંતામાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે 28 ફેબ્રુઆરીથી દુશ્મનાવટ શરૂ થયા બાદ સ્થિતિ "સતત અને ગંભીર રીતે બગડી" રહી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન અને ખાડી ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થવા પર અમે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે પણ ભારતે તમામ પક્ષોને સંયમ જાળવવા, તણાવ ન વધારવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા આગ્રહ કર્યો હતો. કમનસીબે, પવિત્ર રમઝાન માસ દરમિયાન આ ક્ષેત્રની સ્થિતિ સતત અને ગંભીર રીતે વણસી છે."
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, "તાજેતરના દિવસોમાં અમે માત્ર સંઘર્ષની તીવ્રતા વધતી જ જોઈ નથી, પરંતુ તેનો વિસ્તાર અન્ય દેશો સુધી થતો પણ જોયો છે. વિનાશ અને મોતના આંકડા વધ્યા છે, જ્યારે સામાન્ય જીવન અને આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. એક નજીકના પાડોશી અને ક્ષેત્રની સુરક્ષા તથા સ્થિરતામાં મહત્વનું હિત ધરાવતા દેશ તરીકે આ ઘટનાક્રમ અમારા માટે ઊંડી ચિંતાનો વિષય છે."
આ ક્ષેત્રમાં રહેતા ભારતીયો અંગે સરકારની ચિંતા રેખાંકિત કરતા પ્રવક્તાએ કહ્યું, "ખાડી ક્ષેત્રમાં લગભગ એક કરોડ ભારતીય નાગરિકો રહે છે અને કામ કરે છે. તેમની સુરક્ષા અને કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે એવા કોઈ પણ ઘટનાક્રમ પ્રત્યે ઉદાસીન ન રહી શકીએ જે તેમના પર નકારાત્મક અસર કરે. આપણો વેપાર અને ઊર્જા પુરવઠા શૃંખલા પણ આ જ ભૂ-ભાગમાંથી પસાર થાય છે. કોઈ પણ મોટા અવરોધની ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. એક એવા દેશ તરીકે જેના નાગરિકો વૈશ્વિક કાર્યબળમાં મહત્વની ભૂમિકા ભજવે છે, ભારત વેપારી જહાજો પરના હુમલાનો પણ સખત વિરોધ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા હુમલાઓને કારણે કેટલાક ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે અથવા તેઓ ગુમ છે."
ભારતની સ્થિતિ દોહરાવતા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ પૃષ્ઠભૂમિમાં ભારત સંવાદ અને મુત્સદ્દીગીરીની તેની અપીલને દ્રઢતાથી દોહરાવે છે. અમે સ્પષ્ટપણે સંઘર્ષના વહેલા અંતની તરફેણમાં અમારો અવાજ ઉઠાવીએ છીએ. અગાઉ જ અનેક અમૂલ્ય જીવ ગુમાવ્યા છે અને તેના પર અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ."
લેવામાં આવી રહેલા પગલાં અંગે પ્રવક્તાએ જણાવ્યું કે, "અસરગ્રસ્ત દેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ ભારતીય નાગરિકો અને સામુદાયિક સંગઠનો સાથે સતત સંપર્કમાં છે અને જરૂરિયાત મુજબ નિયમિત પરામર્શ (એડવાઈઝરી) જારી કરી રહ્યા છે. સંઘર્ષને કારણે ફસાયેલા લોકોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી છે. દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ આ સંઘર્ષ સાથે જોડાયેલા વિવિધ કોન્સ્યુલર મામલાઓમાં સક્રિયપણે મદદ કરવાનું ચાલુ રાખશે."
નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે, "અમે આ ક્ષેત્રની સરકારોની સાથે સાથે અન્ય અગ્રણી ભાગીદારોના સંપર્કમાં છીએ. પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીએ તેમના સમકક્ષો સાથે ચર્ચા કરી છે." અંતમાં જણાવાયું છે કે, "સરકાર બદલાતી સ્થિતિ પર ચાંપતી નજર રાખશે અને રાષ્ટ્રીય હિતમાં જરૂરી નિર્ણયો લેતી રહેશે."
