પશ્ચિમ એશિયા સંકટ: પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
Live TV
-
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષની ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે(27 માર્ચ, 2026) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં સંકટનો સામનો કરવા માટે રાજ્યોની તૈયારીઓ અને આગામી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ટીમ ઈન્ડિયાની ભાવના સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધવાનો છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ વધી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રીઓને ભારતની રણનીતિ અંગે માહિતગાર કરશે અને આ મુદ્દે વ્યાપક સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે.
ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાને કારણે જે રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. આ રાજ્યો માટે કેબિનેટ સચિવાલય દ્વારા મુખ્ય સચિવો સાથે અલગથી બેઠક યોજવામાં આવશે.
અગાઉ સંસદમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યુદ્ધની અસર ઘટાડવા માટે સરકારે સાત સશક્ત જૂથોની રચના કરી છે. આ જૂથો ખાસ કરીને નીચેના ક્ષેત્રો પર ધ્યાન આપશે:
ઈંધણ પુરવઠો
સપ્લાય ચેઈન મેનેજમેન્ટ
ખાતરની ઉપલબ્ધતા
ભારતીય નાગરિકોની સુરક્ષાબુધવારે સંસદ ભવનમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સર્વદળીય બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, તમામ વિપક્ષી પક્ષોએ સરકારના આગામી પગલાઓ માટે સમર્થન જાહેર કર્યું છે.
પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી સમુદ્રી માર્ગો ખોરવાયા છે અને ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધી છે, જેને પગલે ભારત સરકાર સતત એલર્ટ મોડ પર છે.
