પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીનું 92 વર્ષની વયે નિધન, દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
Live TV
-
ભારતમાં આર્થિક સુધારાના પ્રણેતા ગણાતા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમનું સ્વાસ્થ્ય કથળતા તેમને દિલ્લી AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. મનમોહન સિંહજીના નિધનને પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ડો. મનમોહન સિંહજીનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ પશ્ચિમ પંજાબ એટલે હાલના પાકિસ્તાનના ગાહ ગામમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી. તેઓએ 22 મે 2004થી વર્ષ 2014 સુધી સતત 10 વર્ષ પ્રધાનમંત્રી પદે આરૂઢ રહ્યા હતા. તો વર્ષ 1991થી 1996 સુધી નરસિમ્હા રાવની સરકારમાં નાણા મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. અને નાણામંત્રી તરીકે તેમના કાર્યો આર્થિક બાબતોમાં ઘણા નિર્ણાયક રહ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ અપર્ણ કરી હતી. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, દેશ તેમના પ્રતિષ્ઠિત નેતાના નિધનથી શોકાતુર છે. મનમોહન સિંહજી સામાન્ય પરિવારમાંથી આગળ વધ્યા અને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે વર્ષો સુધી સરકારી પદ ઉપર કામ કર્યું અને આપણી આર્થિક નીતિ ઉપર મજબૂત છાપ છોડી. તેમણે લોકોના જીવનને ઉત્તમ બનાવવાના વ્યાપક પ્રયાસ કર્યા હતા
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીનું અવસાનના સમાચાર મળતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મનમોહન સિંહજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ સ્વર્ગસ્થ મનમોહન સિંહજીને સોશિયલ મીડિયા ઉપર પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહજીની તસવીરો શેર કરીને તેમના વિવિધ ઉત્તમ પ્રદાન બદલ શ્રદ્ધાંજલિ પાઠવીને લખ્યું હતું કે મેં મારા ઉત્તમ માર્ગદર્શક ગુમાવ્યા છે.તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
