પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિફાર્મ અને ગુરુકુળની મુલાકાત લીધી
Live TV
-
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને 3 રાજ્યોના રાજ્યપાલ, હરિયાણાના રાજ્યપાલ બાંડારુ દત્તાત્રેય, પંજાબના ગવર્નર અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત, હિમાચલ પ્રદેશના ગવર્નર શિવપ્રતાપ શુક્લા અને હરિયાણાના કૃષિમંત્રી જે.પી. દલાલે ગઈકાલે 10 ઓગસ્ટના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુલની મુલાકાત બદલ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ઈચ્છું છું કે, આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે. પહેલાં આપણે યુરીયા અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ કર્યો. એ પછી આપણે જૈવિક ખેતી તરફ વળ્યા તેમાં પણ આપણને સફળતા નથી મળી. ભારતની ખેતીની જે મૂળભૂત પ્રાચીન પરંપરા છે તે પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીને આપણે શક્ય તેટલી ઝડપથી સ્વીકારીશું તો સમગ્ર દેશને લાભ થશે. ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છીએ. શ્રી રામ નાથ કોવિંદે કહ્યું હતું કે, ભારતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો મોટો યશ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જાય છે. તેઓ પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. શ્રી આચાર્ય દેવવ્રતજી જે ગુરુકુળના આચાર્ય છે એ પણ ભવ્ય છે. અહીં ભારતીય મૂલ્ય અને પ્રાચીન પરંપરાની સાથે સાથે આધુનિકતાનો તાલમેલ મેં જોયો. ગુરુકુળની જે કલ્પના હોય એવું ગુરુકુળ અહીં સાકાર થયું છે. તેમણે ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની ભરપૂર પ્રશંસા કરી હતી.
મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃતનો પ્લાન્ટ જોયો હતો અને ફાર્મમાં બેસીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગેલા ફળ કમલમ્ અને જામફળનો સ્વાદ માણ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રામનાથ કોવિંદ, શ્રીમતી સવિતા કોવિંદ, બાંડારુ દત્તાત્રેયજી, શિવપ્રતાપ શુક્લા, બનવારીલાલ પુરોહિત તથા મંત્રી જે.પી. દલાલને કાર્ટમાં બેસાડીને ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ વિસ્તૃત રીતે બતાવ્યા હતા. ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની વિગતોથી મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. તમામ મહાનુભાવોએ ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
