પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન, PM મોદીએ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતિક ગણાવ્યું
Live TV
-
ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે નવનિર્મિત ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણને ભારત અને ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોનો નવો યુગ સ્તંભ ગણાવ્યો છે. વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ બંને દેશોના સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો, સહયોગ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતિક છે.
સમારોહ દરમિયાન PM મોદીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સંતો અને BAPS સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. તેમણે ઉમેર્યું કે પ્રમુખસ્વામી મહારાજે શરૂ કરેલા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનર્જાગરણનો પ્રકાશ આજે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. 2024માં અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન બાદ પેરિસમાં આ ભવ્ય નિર્માણ તે જ સંકલ્પશક્તિની નિરંતરતા છે.
મેડ ઇન ઇન્ડિયા અને બિલ્ટ ઇન ફ્રાન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ
પ્રધાનમંત્રીએ મંદિરની સ્થાપત્ય કલાની પ્રશંસા કરતા કહ્યું કે આ મંદિર મેડ ઇન ઇન્ડિયા અને બિલ્ટ ઇન ફ્રાન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતમાંથી કોતરવામાં આવેલા પથ્થરોને ફ્રાન્સમાં આધુનિક એન્જિનિયરિંગ સાથે જોડીને આ ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે.PM મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર ભક્તિની સાથે સેવા કાર્યનું પણ મુખ્ય કેન્દ્ર બનશે અને અહીંથી ભારતીય સંસ્કૃતિનો સંદેશ સમગ્ર યુરોપમાં પહોંચશે. ભવિષ્યમાં તક મળતાં તેઓ પોતે આ મંદિરના દર્શન કરવા જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
