પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અને ભારતીય ઉર્જા ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વૈશ્વિક અને ભારતીય ઉર્જા ક્ષેત્રના અગ્રણી મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEOs) સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ વાતચીત હાલમાં ચાલી રહેલા ‘ઇન્ડિયા એનર્જી વીક’ 2026ના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.
ભારતની મજબૂત આર્થિક પ્રગતિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક ઉર્જાની માંગ-પુરવઠાના સંતુલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારતના ઉર્જા ક્ષેત્રમાં રહેલી રોકાણની મહત્વપૂર્ણ તકો તરફ ધ્યાન દોર્યું હતું.
ભારતના ઉર્જા ક્ષેત્રમાં વર્તમાન તકો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ અન્વેષણ અને ઉત્પાદનમાં અંદાજે 100 અબજ અમેરિકી ડૉલરના રોકાણની સંભાવના પર ભાર મૂક્યો અને સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા રોકાણકારો માટે અનુકૂળ નીતિગત સુધારાઓનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વૈશ્વિક ઉર્જા પરિદૃશ્ય અનિશ્ચિતતાઓથી ભરેલું હોવા છતાં ઘણી તકો આપે છે. તેમણે ઈનોવેશન અને સહયોગ પર ભાર મૂકતા કહ્યું કે, ભારત સમગ્ર એનર્જી વેલ્યુ ચેઇનમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે તૈયાર છે.
સંવાદ દરમિયાન CEOએ ભારતની વિકાસ ગતિ પર દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો. નીતિગત સ્થિરતા, સુધારાની ગતિ અને લાંબા ગાળાની માંગની સ્પષ્ટતાને જોતા તેઓએ ભારતમાં પોતાની વ્યાવસાયિક હાજરી વધારવા માટે ઊંડો રસ દાખવ્યો.
આ ઉચ્ચ સ્તરીય ગોળમેજી પરિષદમાં અગ્રણી વૈશ્વિક અને ભારતીય ઉર્જા કંપનીઓ અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 27 CEO અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓએ ભાગ લીધો.
આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
