પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રોડ માર્ગે જમશેદપુર જવા રવાના થયા
Live TV
-
બેથી અઢી કલાકની રાહ જોયા બાદ, આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોડ માર્ગે જમશેદપુર જવા રવાના થયો હતો. વડાપ્રધાને, રવિવારે ઝારખંડમાં ચાર કાર્યક્રમો નક્કી કર્યા હતા. તેમણે ચાર માંથી બે કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. એક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાનના પ્રવાસના સમયપત્રકમાં ફેરફાર કરવો પડ્યો હતો.
વડાપ્રધાન મોદી, જમશેદપુરના ગોપાલ મેદાનથી ભાજપની પરિવર્તન રેલીને સંબોધિત કરશે. આ પહેલીવાર હશે, જ્યારે ઝારખંડમાં કોઈ વડાપ્રધાન સભા સ્થળ સુધી પહોંચવા માટે આટલું લાંબુ અંતર સડક માર્ગે પ્રવાસ કરશે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ટેક ઓફ કરી શક્યું ન હતું. જેના કારણે વડાપ્રધાને રોડ માર્ગે જ નીકળવું પડ્યું હતું.
આ પહેલા વડાપ્રધાને, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે લોકોને શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે, ઝારખંડને વિકાસનું નવું વરદાન મળ્યું છે. છ વંદે ભારત ભેટમાં આપવામાં આવી છે. ઝારખંડના હજારો લોકોને કાયમી ઘર મળી ગયા છે. હું આ માટે ઝારખંડના લોકોને અભિનંદન આપું છું. એક સમય હતો, જ્યારે આધુનિક સુવિધાઓ દેશના કેટલાક રાજ્યો પુરતી મર્યાદિત હતી. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની બાબતમાં ઝારખંડ જેવા રાજ્યો પાછળ રહી ગયા હતા, પરંતુ સબકા સાથ સબકા વિકાસના મંત્રે દેશની વિચારસરણી અને પ્રાથમિકતાઓને બદલી નાખી છે.
બીજી તરફ મુખ્યમંત્રી હેમંત સોરેન, વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. ઝારખંડમાં વડાપ્રધાનનો આ એકમાત્ર સરકારી કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ માટે રેલવે વિભાગે મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમશેદપુરમાં જાહેર સભા સંપૂર્ણપણે ભાજપનો પોતાનો કાર્યક્રમ છે, તેથી મુખ્યમંત્રી સોરેન ત્યાં ગયા પણ નથી. જમશેદપુરમાં ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે, હેલિકોપ્ટર રાંચી એરપોર્ટ પરથી ઉડાન ભરી શક્યું ન હતું, ત્યારબાદ વડા પ્રધાન મોદીએ, રાંચી એરપોર્ટ પરથી જ છ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આ પછી વડાપ્રધાન મોદી, રોડ માર્ગે જમશેદપુર જવા રવાના થયા હતા.
