બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર શાંત
Live TV
-
બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર શાંત: ગુરુવારે મતદાન
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદની પ્રથમ 13મી રાષ્ટ્રીય સંસદ ચૂંટણી માટેના પ્રચારનો આજે અંત આવ્યો છે. આગામી 12 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ દેશના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન યોજાશે. યુનુસ વહીવટી તંત્ર દ્વારા અવામી લીગ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ, આ વખતે મુખ્ય જંગ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે જોવા મળી રહ્યો છે.
સર્વેમાં BNPનો દબદબો: ચૂંટણી પૂર્વેના સૌથી મોટા ગણાતા એક સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 'એમિનન્સ એસોસિએટ્સ ફોર સોશિયલ ડેવલપમેન્ટ' દ્વારા 41500 લોકોના પ્રતિભાવોના આધારે કરવામાં આવેલા સર્વે મુજબ, BNP નેતૃત્વ હેઠળના ગઠબંધનને 208 બેઠકો સાથે નિર્ણાયક લીડ મળવાની શક્યતા છે. જ્યારે જમાત-એ-ઇસ્લામી ગઠબંધનને 46 બેઠકો, રાષ્ટ્રીય પાર્ટીને 3, અને અપક્ષોને 17 બેઠકો મળવાનો અંદાજ છે.
અવામી લીગ મેદાનમાં ન હોવાથી BNP અને જમાત-એ-ઇસ્લામી બંને પક્ષો અવામી લીગના પરંપરાગત મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન હિંસા રોકવા માટે બાંગ્લાદેશ ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશભરમાં સેના અને અન્ય સુરક્ષા દળોને 14 ફેબ્રુઆરી સુધી વિશેષ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે જેથી શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
