બિહારના નાલંદામાં શીતળા માતાના મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
બિહારના નાલંદા જિલ્લામાં મંગળવારે(31 માર્ચ, 2026) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મા શીતળા માતાના મંદિરે પૂજા-અર્ચના દરમિયાન ભારે ભીડને કારણે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદના
આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "બિહારના નાલંદામાં એક મંદિરમાં થયેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું." આ સાથે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા સહાયની જાહેરાત
પ્રધાનમંચ્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને ₹2 લાખ તથા ઈજાગ્રસ્તોને ₹50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનો માટે ₹6 લાખના વળતરની જાહેરાત કરી છે.પોલીસ અધિકારી સસ્પેન્ડ; તપાસ તેજ
ઘટનાની વિગતો મુજબ, મંદિરમાં ક્ષમતા કરતા વધુ ભીડ એકઠી થતા સ્થિતિ બેકાબૂ બની હતી. આ મામલે ફરજમાં બેદરકારી બદલ દીપનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
