ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ કર્યો શોક વ્યક્ત
Live TV
-
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું આજે, મંગળવારની સવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 93 વર્ષની વયે નિધન થયું છે.
ડિસેમ્બર 1931માં લાહોરમાં જન્મેલા વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ 1972 થી 1975 દરમિયાન દિલ્હી જનસંઘના અધ્યક્ષ હતા અને ત્યારબાદ બે વખત ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ 1977-80 અને 1980-84ના પદ પર પણ રહ્યા હતા.
AIIMS દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, "93 વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાને AIIMS, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 30 સપ્ટેમ્બર,2025ની સવારે તેમનું નિધન થયું છે."
પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો દુઃખ વ્યક્ત કર્યો. તેમણે પોતાના સોશિયલ મીડિયા 'X' હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું, "જીવનપર્યંત જનસેવાને સમર્પિત રહેલા ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાના નિધનથી ઘણું દુઃખ થયું છે. તેઓ જમીન સાથે જોડાયેલા એવા નેતા હતા, જેમને જનતાના મુદ્દાઓની ઊંડી સમજ હતી. દિલ્હીમાં પાર્ટીને સશક્ત બનાવવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી."
તેમણે વધુમાં કહ્યું કે, "સંસદમાં તેમની સક્રિયતા અને યોગદાન માટે પણ તેઓ હંમેશા યાદ રહેશે. શોકની આ ઘડીમાં તેમના પરિવારજનો અને શુભચિંતકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ!"
પાર્ટી કાર્યકર્તાઓ માટે પ્રેરણા
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પણ શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે વિજય કુમાર મલ્હોત્રાનું જીવન પાર્ટીના કાર્યકર્તાઓ માટે હંમેશા પ્રેરણા આપતું રહેશે. સચદેવાએ જણાવ્યું કે, "પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાનું જીવન સાદગી અને જનસેવા પ્રત્યેના સમર્પણનું એક ઉદાહરણ હતું. જનસંઘના સમયથી જ તેમણે દિલ્હીમાં RSSની વિચારધારાના પ્રસાર માટે સતત કામ કર્યું."
દિલ્હી ભાજપ મુજબ, વિજય કુમાર મલ્હોત્રાનો કેદારનાથ સાહની અને મદન લાલ ખુરાના સાથેની રાજનીતિમાં સક્રિય યોગદાન રહ્યું છે.
સૌથી મોટી રાજકીય જીત
વિજય કુમાર મલ્હોત્રાની સૌથી મોટી રાજકીય જીત 1999ની સામાન્ય ચૂંટણીમાં માનવામાં આવે છે, જ્યારે તેમણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને મોટા અંતરથી હરાવ્યા હતા. છેલ્લા 45 વર્ષોમાં દિલ્હીમાંથી 5 વખત સાંસદ અને ૨ વખત ધારાસભ્ય રહેવાને કારણે તેઓ રાજધાનીમાં ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાં ગણાય છે.
