ભારતીય ઇમિગ્રન્ટ્સની સેવા કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
Live TV
-
ત્રણ આફ્રિકન દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં માલાવી પહોંચેલી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, ભારતની બહાર રહેતા તેમના દેશવાસીઓનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમની સરકાર ભારતીયોની ચિંતાઓને દૂર કરવા અને તેમની સુરક્ષા, કલ્યાણ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે વિશ્વભરના અમારા ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું હતું કે, ભારત પરસ્પર વિશ્વાસ, સમાનતા અને પરસ્પર લાભના સિદ્ધાંતો પર આધારિત આફ્રિકન મહાદ્વીપ સાથે તેની ભાગીદારીને મહત્ત્વ આપે છે. આફ્રિકા સાથે અમારું સહકારનું મોડલ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ અને ક્ષમતા નિર્માણ કરવાનું છે. તે આફ્રિકાની જરૂરિયાતોની પ્રાથમિકતા પર આધારિત છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, ગ્લોબલ સાઉથના અગ્રણી સભ્ય તરીકે ભારત વિશ્વની બે તૃતીયાંશ વસ્તીના હિતોનું પ્રતિનિધિત્વ કરવાની તેની ભૂમિકાને ગંભીરતાથી લે છે. માલાવીમાં તમારા બધાની વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. ભારત અને માલાવી વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થયા છે. આ સંબંધો ઐતિહાસિક છે. માલાવી સાથે પણ ભારતના ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્ટેટ હાઉસ ખાતે માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ મેકકાર્થી ચકવેરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ ભારત-માલાવીના સંબંધોને મજબૂત કરવા અને અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લિલોંગવેમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી. તેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ અને અન્ય સૈન્ય કાર્યવાહી દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર સૈનિકો અને નાગરિકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપી જેમના બલિદાનને આ સ્મારકમાં ઉજાગર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ માલાવીના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. હેસ્ટિંગ્સ કામુઝુની સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
