મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ: પ્રધાનમંત્રી મોદીએ બાપુને અર્પી શ્રદ્ધાંજલિ
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે(30 જાન્યુઆરી, 2026) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના દિગ્ગજ નેતાઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાપુના આદર્શો અને સ્વદેશી પરનો તેમનો આગ્રહ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પમાં હંમેશા માર્ગદર્શક બની રહેશે.
'બાપુનું વ્યક્તિત્વ સદાય પ્રેરણા આપતું રહેશે': પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને મારા કોટિ-કોટિ નમન. પૂજ્ય બાપુએ હંમેશા 'સ્વદેશી' પર ભાર મૂક્યો હતો, જે આજે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મુખ્ય આધારસ્તંભ છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્યો દેશવાસીઓને કર્તવ્ય પથ પર ચાલવા માટે હંમેશા પ્રેરણા આપતા રહેશે."અમિત શાહ અને નિતિન ગડકરીએ પણ કર્યા નમન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બાપુને યાદ કરતા જણાવ્યું કે, ગાંધીજીએ ભાષા, પ્રદેશ અને જ્ઞાતિમાં વહેંચાયેલા દેશને એકજૂથ કરી સ્વાતંત્ર્ય સંગ્રામને નવી ઊંચાઈ આપી હતી. તેમણે ઉમેર્યું કે, "સ્વદેશી, સ્વરાજ અને સ્વચ્છતા દ્વારા ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો તેમનો વિચાર આવનારી પેઢીઓને પણ પ્રેરિત કરતો રહેશે."કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ આ અવસરે ટ્વિટ કરીને રાષ્ટ્રપિતાને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કિરેન રિજીજુએ વિશ્વ શાંતિ માટે ગાંધી વિચારોનું મહત્વ સમજાવ્યું
કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ પોસ્ટમાં જણાવ્યું કે, ગાંધીજીનું સત્ય, અહિંસા અને સદ્ભાવનાનું દર્શન માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે શાંતિ અને માનવીય ગૌરવનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમના કરુણા અને સહિષ્ણુતાના વિચારો ન્યાયપૂર્ણ સમાજના નિર્માણ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.શહીદ દિવસ તરીકે મનાવાય છે આજનો દિવસ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી આદરણીય નેતા મોહનદાસ કરમચંદ ગાંધી, જેમણે અહિંસા અને સવિનય કાનૂનભંગના શસ્ત્રો દ્વારા બ્રિટિશ શાસનને હચમચાવી દીધું હતું, તેમની 30 જાન્યુઆરી, 1948ના રોજ હત્યા કરવામાં આવી હતી. બાપુની પુણ્યતિથિને દર વર્ષે સમગ્ર દેશમાં 'શહીદ દિવસ' તરીકે મનાવવામાં આવે છે, જેમાં દેશવાસીઓ બાપુના શાંતિ, એકતા અને નૈતિક સાહસના વારસાને યાદ કરે છે.
