વચગાળાના બજેટ 2024-25 પર પ્રધાનમંત્રીએ કહ્યું કે - 'આ વિકસિત ભારતનું બજેટ '
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વચગાળાના બજેટ 2024-25ને સંબોધિત કરતા તેને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજનો બજેટ વચગાળાનું બજેટ છે પરંતુ આ બજેટ સર્વસમાવેશક અને નવીન બજેટ છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે.
આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે - યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. આ શબ્દો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓ, ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સંશોધન અને નવીનતા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ કર મુક્તિના વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ બજેટમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડી ખર્ચને 11 લાખ 11 હજાર 111 કરોડ રૂપિયાની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે. પીએમ મોદીએ તેને અર્થશાસ્ત્રીઓની ભાષામાં સ્વીટ સ્પોટ ગણાવ્યું. તેમણે કહ્યું હતું કે, આનાથી ભારતમાં 21મી સદીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બજેટમાં વંદે ભારત સ્ટાન્ડર્ડની 40 હજાર આધુનિક બોગી બનાવવા અને તેને સામાન્ય પેસેન્જર ટ્રેનોમાં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી દેશના વિવિધ રેલ માર્ગો પર કરોડો મુસાફરોના આરામદાયક મુસાફરીના અનુભવમાં વધારો થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે 2 કરોડ લાખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હવે આ ટાર્ગેટ વધારીને 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત યોજનાએ ગરીબોને ઘણી મદદ કરી છે. હવે આંગણવાડી અને આશા વર્કરોને આ યોજનાનો લાભ મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ અને તેમના માટે આવકની નવી તકો ઊભી કરવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રૂફ ટોપ સોલાર અભિયાન હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર રૂફ ટોપ દ્વારા મફત વીજળી મળશે. એટલું જ નહીં વધારાની વીજળી સરકારને વેચવાથી લોકોને 15 થી 20 હજાર રૂપિયાની આવક પણ થશે અને આ દરેક પરિવારને મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જાહેર કરાયેલ આવકવેરા માફી યોજના મધ્યમ વર્ગના લગભગ 1 કરોડ લોકોને મોટી રાહત આપશે. અગાઉની સરકારોએ સામાન્ય માણસના માથા પર આ વિશાળ તલવાર લટકતી રાખી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે આ બજેટમાં ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નેનો ડીએપીનો ઉપયોગ, પ્રાણીઓ માટે નવી યોજના, પીએમ મત્સ્ય સંપદા યોજનાનું વિસ્તરણ અને સ્વનિર્ભર તેલ બીજ અભિયાન હોવું જોઈએ, તેનાથી ખેડૂતોની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો થશે.
