'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2023' માં ગુજરાત પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ત્રિ-દિવસીય “વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-૨૦૨૩” કાર્યક્રમની દ્વિતીય આવૃત્તિનો શુભારંભ કરાવ્યો હતો. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં ગુજરાત પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયું છે. પાર્ટનર સ્ટેટ તરીકે ગુજરાત દ્વારા “ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્ર”ની થીમ પર સ્ટેટ નોલેજ સેશન યોજાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે પ્રદર્શનીમાં સ્થિત ગુજરાતના સ્ટોલનો પણ શુભારંભ કરાવ્યો હતો.
કૃષિ મંત્રીએ નોલેજ સેશનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના વિકાસ માટે કરેલા વિવિધ પ્રયત્નોના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે વધુમાં ઊમેરતાં કહ્યું હતું કે, દેશના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક પરિસ્થિતિના અને પ્રાકૃતિક વાતાવરણ જ તેની વિશેષતા છે અને તેને અનુરૂપ ૪૦થી વધુ પ્રકારના પાકોનું રાજ્યમાં વાવેતર થાય છે. ગુજરાત આજે નવી જણસીઓના ઉત્પાદનમાં દેશ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. પરિણામે આજે ગુજરાત કૃષિ ઉદ્યોગની સ્થાપના માટે પણ પ્રથમ પસંદગી બની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વને ભારતીય ખોરાક અને તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિથી અવગત કરાવવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭માં “વર્લ્ડ ફૂડ ઈન્ડિયા”ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં ૩ થી ૫ નવેમ્બર દરમિયાન “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૨૩”ની દ્વિતીય આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય તરફથી આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેક્ટર ડી. એચ. શાહ સહભાગી થયા હતા.
