વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન, કતાર અને UAEના સમકક્ષો સાથે કરી ચર્ચા
Live TV
-
વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન, કતાર અને UAEના સમકક્ષો સાથે કરી ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પરના સંકટને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે ઈરાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉચ્ચસ્તરીય મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા પુરવઠા પર પડી રહેલી અસરની સમીક્ષા કરવાનો હતો.
વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર
ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ કરી દેવામાં આવતા વિશ્વભરમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે કેટલો મહત્વનો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો અહીંથી પસાર થાય છે. એલએનજી (LNG) સપ્લાયનો પણ મોટો આધાર આ જ માર્ગ પર રહેલો છે.
ભારત માટે કેમ મહત્વનું છે આ સંકટ?
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા 'એક્સ' (X) પર આ વાતચીત અંગે માહિતી આપતા સંકેત આપ્યો કે ભારત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારત માટે આ મામલો અત્યંત સંવેદનશીલ છે, કારણ કે,ભારત તેની તેલ અને ગેસની જરૂરિયાતો માટે આ માર્ગ પર મોટો આધાર રાખે છે. પશ્ચિમ એશિયામાં ભારતના લાખો નાગરિકો રહે છે અને ત્યાંની અસ્થિરતા સીધી રીતે ભારતના આર્થિક અને સુરક્ષા હિતોને અસર કરે છે. કતાર, ઈરાન અને UAE ત્રણેય દેશો સાથે ભારતના ગાઢ સંબંધો છે, તેથી ભારત મધ્યસ્થતા કરી તણાવ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
