વિદેશ મંત્રી એસ. જયશંકરે મોરેશિયસની પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મંગળવારે મોરેશિયસની પ્રગતિ અને સમૃદ્ધિને સમર્થન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રી હાલ મોરેશિયસની મુલાકાતે છે. આજે તેઓ પોર્ટ લુઈસમાં મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથને મળ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી જગન્નાથે ભારત અને મોરેશિયસની વિશેષ અને કાયમી ભાગીદારીની પ્રશંસા કરી અને તેની સમીક્ષા કરીને સતત સહકાર અને શક્તિની આશા પણ વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. જેમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, તેઓ તેમના વર્તમાન કાર્યકાળની શરૂઆતમાં મોરેશિયસની મુલાકાતે છે. આ ભારત-મોરેશિયસ દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈ અને ઊંડાણને રેખાંકિત કરે છે.
એસ. જયશંકરે કહ્યું હતું કે, તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી. આમાં વિકાસ ભાગીદારી, સંરક્ષણ અને દરિયાઈ સહયોગ, આર્થિક અને વેપાર સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં ભારતીય મૂળના સાતમી પેઢીના બે લોકોને OCI કાર્ડ આપવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષે મોરેશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન OCI સંબંધિત જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ 12 ઉચ્ચ પ્રભાવિત સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણ, સંસ્કૃતિ, ઇમિગ્રેશન આર્કાઇવ્સનું ડિજિટાઇઝેશન, અવકાશ અને નવીનતાના ક્ષેત્રોમાં સહકાર પર એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, માત્ર એક વર્ષના ગાળામાં આવા 37 સામુદાયિક પ્રોજેક્ટ કાર્યરત થયા છે. આગામી બે મહિનામાં રોડ્રિગ્સ અને અગાલેગામાં વધુ આઠ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
