વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનો 71મો જન્મદિવસ, PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા
Live TV
-
ભારતના કુશળ રાજદ્વારી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે શુક્રવારે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને ઉમળકાભેર વધામણી આપી છે.
PM મોદીએ ગણાવ્યા 'પ્રભાવશાળી રાજદ્વારી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર શુભેચ્છા પાઠવતા લખ્યું કે, "ડૉ. એસ. જયશંકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમણે એક જાણીતા ડિપ્લોમેટ તરીકે દેશની નિઃસ્વાર્થ સેવા કરી છે અને હવે તેઓ ભારતની વિદેશ નીતિ અને વિશ્વ સાથેના સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું."મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ આપી વધામણી
યુપીના સીએમ યોગી આદિત્યનાથ: તેમણે જણાવ્યું કે, ભારતની વિદેશ નીતિને નવી દિશા આપનારા કુશળ કૂટનીતિજ્ઞ ડૉ. જયશંકરને પ્રભુ શ્રીરામ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા: આ બંને નેતાઓએ પણ ડૉ. જયશંકરના રાષ્ટ્ર નિર્માણના કાર્યને બિરદાવતા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી: તેમણે ડૉ. જયશંકરને દેશની સેવા કરવા માટે સતત શક્તિ મળતી રહે તેવી પ્રાર્થના કરી હતી.
વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું
ભાજપના સાંસદ ડૉ. સુધાકર કે. એ ડૉ. જયશંકરની કાર્યશૈલીના વખાણ કરતા જણાવ્યું હતું કે, "અસાધારણ સ્પષ્ટતા અને દ્રઢ વિશ્વાસ ધરાવતા આ રાજનેતાએ વૈશ્વિક મંચ પર ગરિમા અને વ્યૂહાત્મક દૂરદર્શિતા સાથે ભારતની સંપ્રભુતાનું રક્ષણ કર્યું છે. બદલાતા ભૌગોલિક-રાજકીય (Geopolitics) માહોલમાં તેમનું નેતૃત્વ ભારતની વિશ્વસનીયતાને સતત મજબૂત કરી રહ્યું છે."ડૉ. એસ. જયશંકરની સફર
એક સફળ વિદેશ સચિવથી લઈને દેશના વિદેશ મંત્રી સુધીની તેમની સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે પશ્ચિમના દેશો સામે ભારતનો પક્ષ મજબૂતીથી રાખવાની વાત હોય, ડૉ. જયશંકરે હંમેશા 'ઈન્ડિયા ફર્સ્ટ'ની નીતિ પર ભાર મૂક્યો છે. તેમની તાર્કિક વાતો અને હાજરજવાબીપણું યુવાનોમાં પણ તેમને અત્યંત લોકપ્રિય બનાવે છે
