સિનેમા જગતમાં નાયક તો રાજનીતિમાં 'જન નાયક' બન્યા થલપતી, તમિલનાડુમાં જબરદસ્ત 'વિજય'
Live TV
-
સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલપતી વિજય હવે રાજનીતિના મેદાનમાં પણ ધમાલ મચાવી રહ્યા છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ(TVK)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને પાછળ છોડીને વિજયની પાર્ટીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વિજય પોતે પેરમ્બુર અને તિરુચિરાપલ્લી બેઠકો પર વિજયી થયા છે. સિનેમાથી રાજનીતિ તરફ વળેલા વિજય માટે આ સમય અત્યંત ખાસ સાબિત થઈ રહ્યો છે. એક તરફ તેમની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, તો બીજી તરફ રાજનીતિમાં તેઓ ‘જન નાયક’ બનીને ઉભરી રહ્યા છે.
રાજનીતિમાં એન્ટ્રી અને તેની પાછળનું કારણ
સવાલ એ છે કે, વિજય રાજનીતિમાં ક્યારે અને શા માટે આવ્યા? દક્ષિણ ભારતીય સિનેમાના અનેક મોટા સિતારા રાજનીતિમાં સક્રિય રહ્યા છે. વિજયે પણ આ જ રાહ પર ચાલતા 2 ફેબ્રુઆરી 2024 ના રોજ પોતાની પાર્ટી TVKની ઔપચારિક જાહેરાત કરી હતી. કોવિડ મહામારી બાદથી જ તેઓ રાજનીતિમાં રસ દાખવી રહ્યા હતા. 2024 માં યોગ્ય સમય જોઈને તેમણે પાર્ટી બનાવી અને 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. તે જ દિવસે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી દીધી હતી.ચૂંટણી ઢંઢેરો અને મોટા વાયદા
વિજયે એપ્રિલ 2026માં પોતાનો મેનિફેસ્ટો (જાહેરનામું) બહાર પાડ્યો હતો, જેમાં અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા:
મહિલાઓ માટે: ઘરની મહિલા વડાને દર મહિને ₹2,500ની આર્થિક સહાય અને વર્ષમાં 6 મફત ગેસ સિલિન્ડર.
કન્યા સહાય: ગરીબ દીકરીઓના લગ્ન માટે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી.
યુવાઓ માટે: સ્નાતકોને ₹4,000 અને ડિપ્લોમા કરનારાઓને ₹2,500નું માસિક ભથ્થું.
અન્ય સહાય: ગેરંટી વગરની લોન, નાના ખેડૂતોનું દેવું માફ અને દરેક ઘરને 200 યુનિટ મફત વીજળી.અંગત જીવનમાં ઉથલપાથલ
વિજયે કહ્યું હતું કે, રાજનીતિ તેમના માટે શોખ નથી પરંતુ ‘પવિત્ર સેવા’ છે. જોકે, રાજકીય સફરની શરૂઆત વિજય માટે સરળ રહી નથી. તે જ સમયે તેમનું અંગત જીવન પણ અશાંત ચાલી રહ્યું હતું. તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ દ્વારા છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી. 27 વર્ષ જૂના લગ્નજીવનમાં આવેલી આ તિરાડે સમગ્ર તમિલનાડુને ચોંકાવી દીધું. સંગીતાએ વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ પણ લગાવ્યો હતો. તેમનું માનવું છે કે, છેલ્લા બે વર્ષથી તેઓ સંબંધ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સફળતા મળી નથી.ફિલ્મી સફર અને સંપત્તિ
બંનેના લગ્ન 1999માં થયા હતા અને તેમને બે બાળકો છે - પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્યા સાશા. વિજયે પોતાની ફિલ્મી સફર 1984માં બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘વેત્રી’ હતી, જેનું નિર્દેશન તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરે કર્યું હતું. 1992 માં ‘નાલૈયા થીરપુ’ થી તેમણે મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું અને 1996 માં ‘પૂવે ઉનાક્કાગા’ ફિલ્મથી તેઓ રોમેન્ટિક હીરો તરીકે સ્થાપિત થયા.ત્યારબાદ તેમણે ડઝનબંધ હિટ ફિલ્મો આપી અને તેઓ 'થલપતી' ના નામે મશહૂર થયા. ચૂંટણી ફોર્મ ભરતી વખતે વિજયે પોતાની સંપત્તિનું સોગંદનામું રજૂ કર્યું હતું, જે મુજબ તેમની પાસે કુલ ₹404.58 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 10 મકાનો અને અનેક લક્ઝરી ગાડીઓ પણ છે.
