હરિયાણાના ટોહાના ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વાર પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
Live TV
-
જૈવિક ખેતી ભારતની મૂળ ખેતી નથી. રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી છોડીને આપણે પ્રાકૃતિક ખેતી જ અપનાવવી જોઈએ." -રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શનિવારે શગુન પેલેસ, ટોહાના ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, હરિયાણા દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યસભાના સાંસદ સુભાષ બરાલાએ કરી હતી. રતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, હરિયાણાના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભારત દેશ અને હરિયાણાનો ખેડૂત મહેનતશીલ છે. દુનિયાના દરેક વ્યક્તિને દિવસમાં ત્રણ વખત ખેડૂતોની જરૂર પડે છે, કારણ કે ખેડૂત જ દરેક વ્યક્તિના પેટ ભરવાનું કામ કરે છે.
તેમણે કહ્યું કે હાલમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિ ઉપયોગને કારણે જમીનના તમામ પોષક તત્વો નાશ પામે છે, જે અત્યંત જોખમી છે. રાસાયણિક ખેતી આપણને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાની સાથે સાથે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને ચેતવણી આપતાં કહ્યું કે આજે આપણે વધુ ઉત્પાદનના નામે ઝેર ખાઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં ભવિષ્યની પેઢીઓના સંરક્ષણ અને તેમના સારા સ્વાસ્થ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. ગુજરાતમાં 9 લાખ 75 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે અને આગામી એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનું આયોજન છે. હિમાચલ પ્રદેશમાં એક પણ પંચાયત એવી નથી જ્યાં પ્રાકૃતિક ખેતી ન થતી હોય. ભવિષ્યમાં પણ હરિયાણા અને અન્ય રાજ્યોમાં પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતો માટે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. એટલું જ નહીં, નવી કૃષિ તકનીકો વિશે પણ ખેડૂતોને જાણ કરવામાં આવશે.
રાજ્યસભાના સાંસદ સુભાષ બરાલાએ રાજ્યપાલનું સ્વાગત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખેડૂત કલ્યાણ નીતિના અનુસંધાનમાં પ્રાકૃતિક ખેતી પર આવું પ્રશિક્ષણ પ્રથમ વખત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આટલા મોટા પદ પર રહીને પણ રાજ્યપાલજીએ ખેડૂતોની ચિંતા કરીને થઈને તેમને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત કરવાની સાથે સાથે પ્રશિક્ષિત પણ કરી રહ્યા છે.
આ અવસરે ખેડૂતો દ્વારા પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સાંસદ સુભાષ બરાલાએ તેનું અવલોકન કરીને માહિતી મેળવી હતી.
આ અવસરે રતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપા, હરકોફેડના ચેરમેન વેદ ફુલા, જિલ્લા અધ્યક્ષ બલદેવ ગ્રોહા, મહામંત્રી રિંકુ માન, એસડીએમ પ્રતિક હુડ્ડા, રવિન્દ્ર મહેતા, વેદ જાંગ્રા, નગર પરિષદના ચેરમેન નરેશ બંસલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. બલજીત સહારન, સંયુક્ત નિદેશક ડૉ. પ્રદીપ કુમાર, ઉપ નિદેશક કૃષિ ડૉ. રાજેશ સેહાગ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
