NEET-UG પરીક્ષા ફરી નહીં લેવાય, સુપ્રીમ કોર્ટે કહ્યું- સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા નથી
Live TV
-
NEET-UG પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ પરીક્ષા ફરીથી ન લઈ શકાય કારણ કે મોટી ગેરરીતિઓ સાબિત થઈ શકી નથી. કોર્ટે કહ્યું કે ફરીથી પરીક્ષા લેવાનું યોગ્ય નથી અને તે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મામલો છે.
NEET કેસની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, NEETની ફરીથી પરીક્ષા નહીં લેવાય. આ પરીક્ષા ફરીથી ન લઈ શકાય કારણ કે મોટી ગેરરીતિ સાબિત થઈ શકી નથી. તેમજ સીજેઆઈ કહ્યું કે, તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોર્ટે કહ્યું કે, 'પરીક્ષામાં હાજર રહેલા 24 લાખ બાળકો માટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવો મુશ્કેલ હશે. જેનાથી એડમિશનના શિડ્યુલમાં પણ વિક્ષેપ થશે. આ ઉપરાંત તબીબી શિક્ષણ પર પણ વિપરીત અસર થશે. એટલું જ નહીં તેની અસર ભવિષ્યમાં લાયકાત ધરાવતા તબીબી વ્યાવસાયિકોની અછતના સ્વરૂપમાં પણ જોવા મળી શકે છે.'
કોર્ટના આ આદેશ બાદ NEET UGનું કાઉન્સેલિંગ શરૂ થશે. કોર્ટે કહ્યું કે પેપર લીકનો મામલો હજારીબાગમાં જ સાબિત થયો છે. આવી સ્થિતિમાં પરીક્ષા રદ કરવાની માંગ યોગ્ય નથી. બેન્ચે કહ્યું કે અત્યાર સુધી માત્ર 155 વિદ્યાર્થીઓને જ લીકથી ફાયદો થયો હોવાની શંકા છે.
નોંધનીય છે કે, નીટની પરીક્ષા 571 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 4750 કેન્દ્રો પર યોજાઈ હતી. 1 લાખ 80 હજાર બેઠકો માટે 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, બાદમાં 4 જૂને પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ દેશભરમાં વિરોધ નોંધાવ્યો હતો.
