PM મોદીનો વિપક્ષ પર કટાક્ષ, કહ્યું– 2013 કરતા આજે દેશ વધુ સુરક્ષિત અને મજબૂત
Live TV
-
દિલ્હી યુનિવર્સિટીની પ્રખ્યાત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ના શતાબ્દી મહોત્સવને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને પ્રોત્સાહિત કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 2014 પહેલાના ભય અને આર્થિક અસ્થિરતાના વાતાવરણની તુલના આજના સશક્ત અને આત્મનિર્ભર ભારત સાથે કરી હતી.
"દિમાગી નક્સલો" અને "નારાજ ફૂફા" પર કટાક્ષ
લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનને યાદ કરતા PM મોદીએ કહ્યું કે, "મેં 'દિમાગી નક્સલ' શબ્દનો ઉપયોગ કરીને વિવેચકોને એક 'હોમિયોપેથિક ગોળી' આપી હતી. હોમિયોપેથીમાં શરૂઆતમાં રોગ થોડો બહાર આવે છે, આ ગોળી આપતા જ તમામ દિમાગી નક્સલો બહાર આવી ગયા અને જનતા હવે તેમનો અસલી ચહેરો જોઈ રહી છે."વિપક્ષી નેતાઓની નકારાત્મક માનસિકતા પર પ્રહાર કરતા વડાપ્રમાણે તેમને "નારાજ ફૂફા" સાથે સરખાવ્યા હતા. તેમણે ઉમેર્યું, "દેશમાં બે પ્રકારના લોકો છે—એક જે સમાજની શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં વાપરે છે અને બીજા જે દરેક વિકાસકાર્યમાં 'નારાજ ફૂફા' બની જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, UPI, સેમિકન્ડક્ટર ચિપ કે નવું સંસદ ભવન હોય, આ લોકો હંમેશા 'આની શું જરૂર હતી?' તેવો જ આલાપ આલાપે છે. પણ દેશે આવા 'ફૂફા'ઓને યોગ્ય જવાબ આપ્યો છે."
2013 અને આજનું ભારત: સંકટો સામે મજબૂત સ્થિતિ
2014 પહેલાના દિવસો યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 2008નો બેંકિંગ ક્રાઈસિસ હોય, મુંબઈ આતંકી હુમલો હોય કે 2013ની કેદારનાથ આપદા—તત્કાલીન સરકારે નિર્ણાયકતા ગુમાવી દીધી હતી. જ્યારે બીજી તરફ, હાલની સરકારે કોવિડ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન સંઘર્ષ જેવા વૈશ્વિક સંકટો વચ્ચે પણ દેશને આર્થિક અને સામાજિક રીતે વધુ સુરક્ષિત બનાવ્યો છે. છેલ્લા દાયકામાં ભારતે 40થી વધુ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરીને યુવાનો માટે નવા બજારો ખોલ્યા છે.યુવાનોને આહ્વાન અને ભવિષ્યનો રોડમેપ
વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, 2013 પહેલા યુવાનો સ્ટાર્ટઅપ કે સ્પેસ ટેકનોલોજીના સપના નહોતા જોઈ શકતા, પરંતુ આજે ચિત્ર બદલાયું છે.સ્પેસ સ્ટેશન અને ઓલિમ્પિક: ભવિષ્યમાં ભારત રિસર્ચ અને ઈનોવેશનનું ગ્લોબલ હબ બનશે. ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે અને દેશ ઓલિમ્પિક ગેમ્સની મેજબાની પણ કરશે.
ગ્લોબલ ભારતીય બ્રાન્ડ્સ: પ્રધાનમંત્રીએ યુવાનોને સંકલ્પ લેવા આહ્વાન કર્યું કે, જો ભારતીયો દુનિયાની મોટી ગ્લોબલ કંપનીઓ ચલાવી શકતા હોય, તો તે કંપનીઓ પોતે ભારતીય કેમ ન હોઈ શકે?
સંબોધનના અંતે તેમણે કાવ્યાત્મક શૈલીમાં કહ્યું, "નાવ પણ આપણી, નાવિક પણ આપણો અને લહેરો પર જીત લખવાનો હોસલો પણ આપણો. આત્મનિર્ભર અને વિકસિત ભારતના માર્ગ પર આપણું દરેક પગલું દેશને નવી ઊંચાઈએ લઈ જશે."
