PM મોદી પદ્મ ભૂષણથી સન્માનિત મલયાલમ અભિનેતા મમૂટી અને તેમના પરિવારને મળ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત બીજા નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કાર 2026 એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પ્રખ્યાત મલયાલમ અભિનેતા મમૂટી અને તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મેં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત દ્વિતીય નાગરિક સન્માન સમારોહમાં ભાગ લીધો હતો, જ્યાં પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સેવા અને સમર્પણનું સન્માન કરે છે. દરેક પુરસ્કાર વિજેતા સમાજ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમની જીવનયાત્રા અસંખ્ય નાગરિકોને પ્રેરણા આપે છે અને સૌને સખત મહેનત તથા સેવાની શક્તિની યાદ અપાવે છે.
તેમજ, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર મમૂટીના પરિવાર સાથેની મુલાકાતની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું કે પદ્મ પુરસ્કાર સમારોહ બાદ અભિનેતા મમૂટી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી.
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ દિગ્ગજ મલયાલમ અભિનેતા મમૂટીને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અભિનંદર પાઠવ્યા
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પદ્મ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં લખ્યું કે, આજે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ વિશિષ્ટ વ્યક્તિઓને હાર્દિક અભિનંદન.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પદ્મ પુરસ્કારોને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી નિઃસ્વાર્થ સેવા દ્વારા સમાજ પર વાસ્તવિક પ્રભાવ પાડનાર વ્યક્તિઓનું સન્માન કરી શકાય. આ પુરસ્કારો હવે ગુમનામ પ્રભાવશાળી વ્યક્તિઓનું સન્માન કરે છે અને નાગરિકોને પરિવર્તનમાં ભાગીદાર બનવા માટે પ્રેરિત કરીને સહભાગી લોકશાહીને મજબૂત બનાવે છે. તે તમામને મારી હાર્દિક શુભેચ્છાઓ.
શિબુ સોરેનને મરણોત્તર સન્માન
સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોત્તર)ને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમના પત્ની રૂપી સોરેને આ સન્માન સ્વીકાર્યું હતું. આ સાથે જ ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ગાયિકા અલકા યાજ્ઞિકને પણ રાષ્ટ્રપતિ મુર્મુએ પદ્મ ભૂષણ એનાયત કર્યું હતું.આ દરમિયાન પી. નારાયણન અને જસ્ટિસ (રિટાયર્ડ) કેટી થોમસ ને સાહિત્ય અને શિક્ષણ તથા જાહેર સેવા માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ ભૂષણ મેળવનારા અન્ય લોકોમાં એસકેએમ મેલાનંદન, મમૂટી, વેલ્લાપલ્લી નટેસન અને દત્તાત્રેયડુ નોરીનો સમાવેશ થાય છે.
