મોરબીમાં યોજાયું અનોખું સ્પેસ એક્ઝિબિશન: 134 બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા 48 પ્રોજેક્ટ
Live TV
-
મોરબીમાં યોજાયું અનોખું સ્પેસ એક્ઝિબિશન: 134 બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા 48 પ્રોજેક્ટ
મોરબીમાં એક અનોખા સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 134 બાળ વૈજ્ઞાનિકોએ અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા 48 જેટલા અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા. આ પ્રોજેક્ટ્સ આર્યભટ્ટથી લઈને મિશન ગગનયાન અને એક્ઝિમ-4 સુધીના વિષયોને આવરી લેતા હતા.
આ કાર્યક્રમમાં ઇસરોના વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલ અને તેમની ટીમ, જેમાં વિનોદકુમાર પણ સામેલ હતા, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકો દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ્સને નિહાળીને અભિનંદન પાઠવ્યા અને આયોજનને બિરદાવ્યું હતું.
ડો. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ અને યુવા પેઢીમાં વિજ્ઞાનનો રસ
ઇસરોના વૈજ્ઞાનિક વિનોદકુમારે જણાવ્યું કે ડો. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિને 'નેશનલ સ્પેસ યર' તરીકે ઉજવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, ભારત સરકાર દ્વારા બાળકોમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવા માટે 'યુવિકા' અને 'ભાવિકા' જેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત દેશભરમાંથી 350 જેટલા ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને તાલીમ આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, આવા એક્ઝિબિશન બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ રુચિ કેળવવામાં મદદ કરે છે, જેથી તેઓ આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય અને વિઝન 2047ના નિર્માતા બની શકે. આ તકે, મહાનુભાવો દ્વારા બાળ વૈજ્ઞાનિકોને મુંબઈના પ્લેનેટેરિયમ અને ઇસરો સ્થિત ડો. વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
ઇસરોની મુલાકાત માટે માર્ગદર્શન
ઇસરોના વૈજ્ઞાનિક વિનોદકુમારે વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને નાગરિકોને ઇસરો સ્થિત ડો. વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટેની પ્રક્રિયા અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, નિર્ધારિત નિયમો અનુસાર અરજી કરીને મુલાકાતની પરવાનગી મેળવી શકાય છે. આ એક્ઝિબિશન બાળકો અને સામાન્ય નાગરિકોને અવકાશ વિજ્ઞાન વિશે વધુ જાણવાની તક પૂરી પાડે છે.
