PMJAY-MA કાર્ડ્સના ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને પ્રિન્ટેડ PVC કાર્ડ અપાશે
Live TV
-
ગુજરાતમાં ગાંધીનગર ખાતે 17 ઓક્ટોબરના રોજ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યના PMJAY-MA કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી જોડાશે અને ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજનાને સંકલિત કરી હતી, અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા. આજદિન સુધીમાં ગુજરાતમાં 1.58 કરોડ લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી, છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યા છે. આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવશે.
17 ઓક્ટોબરે રાજ્ય સ્તરે અને તાલુકા સ્તરે યોજાશે કુલ 260 કાર્યક્રમો
PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને આ નવા છાપેલા આયુષ્માન પીવીસી કાર્ડ્સનું વિતરણ કરવા માટે ગુજરાત સરકારે 17 ઓક્ટોબર, 2022ના રોજ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ દિવસનો કાર્યક્રમ બે સ્તરે આયોજિત કરવામાં આવશે. એક રાજ્ય સ્તરે અને બીજો પ્રત્યેક તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે. સમગ્ર રાજ્યમાં કાર્ડ્સના વિતરણ માટે કુલ 260 કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન PMJAY-MA કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા 3 લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા ત્રણ લાભાર્થીઓને કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલાવીને આયુષ્માન પીવીસી કાર્ડ્સ આપવામાં આવશે. તાલુકા સ્તરના કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
