અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો
Live TV
-
શક્તિપીઠ અંબાજીમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભક્તો અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ, રાત્રિના સમયે તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે ચોમાસા જેવો અહેસાસ કરાવતા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં તાપમાન ગગડ્યું છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.
ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો
આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે વરસાદી ઝાપટાં છતાં માઈભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી. પ્રથમ નોરતાની સંધ્યા આરતીમાં શ્રદ્ધાળુઓ પલળતા રહીને પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે, અણધાર્યા પવન અને વરસાદને કારણે યાત્રાધામના જનજીવન અને બજાર પર આંશિક અસર જોવા મળી હતી. આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસેલા વરસાદે અંબાજીના પહાડી વિસ્તારોમાં ઠંડક પ્રસરાવી દીધી છે.ખેતરોમાં પાકેલા ઘઉંને લઈ ખેડૂતો ભારે ચિંતિત થયા હતા. ખેતરોમાં હજી ઘઉં પણ કાપવાના બાકી છે. ત્યાં કમોસમી વરસાદએ ખેડૂતોની ચિંતા વધારી છે
