અરવલ્લી: ધનસુરાના ગઢીમાતા ધામ ખાતે 51 લાખ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ, અત્યાર સુધીમાં 36 લાખ શિવલિંગ બન્યા
Live TV
-
અરવલ્લી: ધનસુરાના ગઢીમાતા ધામ ખાતે 51 લાખ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ, અત્યાર સુધીમાં 36 લાખ શિવલિંગ બન્યા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના ધનસુરા સ્થિત પ્રસિદ્ધ સિદ્ધપીઠ શ્રી ગઢીમાતા ધામ ખાતે 51 લાખ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ અને પૂજન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજનમાં અત્યાર સુધીમાં 36 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન પૂર્ણ થઈ ચૂક્યું છે.
ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂરણશરણદાસજી મહારાજ દ્વારા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા શુભ સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 10 જુલાઈ, 2025થી શરૂ થયેલું આ અનુષ્ઠાન શ્રાવણ માસના સમાપન એટલે કે 23 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે. આ કાર્યક્રમમાં અરવલ્લી સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને મહામૃત્યુંજયના જાપ સાથે પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન કરી રહ્યા છે.
આ પાંચમા વર્ષનો અનુષ્ઠાન મહોત્સવ પૂર્ણ થતાં, કુલ પાંચ વર્ષમાં 1 કરોડ 51 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજન સંપન્ન થશે. મહંત પૂરણશરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં તેમના શિષ્ય રામશરણદાસજી મહારાજ, કર્મકાંડ વિશારદ નિરંજનભાઈ જોષી અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. આ પવિત્ર પ્રસંગ ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ ફેલાવી રહ્યો છે.
