આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ : પ્રજ્ઞાચક્ષુનો મહિલાની સરપંચથી શિક્ષક સુધીની પ્રેરણાત્મક સફર
Live TV
-
વર્ષ 2022માં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા સુધાબેન પટલે આણંદમાં સેતુ ટ્રસ્ટની સ્થાપના કરી..ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટ્સ અને દિવ્યાંગ માતા-પિતાવાળા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે આત્મનિર્ભર બનાવવાનો છે.ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલ ચલાવવામાં આવે છે.
આજે વિશ્વ દિવ્યાંગતા દિવસની ઉજવણી થઈ રહી છે..ત્યારે આપને મળાવીશુ એક એવા પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે કે જેઓ મહિલા સશક્તિકરણની મિશાલ બન્યા છે.કહેવાય છે કે મહિલા ધારે તો દુનિયામાં કોઈ એવું કામ નથી કે તે ન કરી શકે. આ વાતને સાબિત કરી બતાવી છે આણંદમાં રહેતા એક દિવ્યાંગ મહિલાએ. આણંદના વિદ્યાનગરમાં રહેતા સુધાબેન પટેલ 100 ટકા અંધ પ્રજ્ઞાચક્ષુ છે..પણ આપને જાણીને નવાઈ થશે કે અંધ હોવા છતાં આત્મનિર્ભર બન્યા છે એટલુ જ નહીં ગામના સરપંચ બનવાથી લઈને આજે શાળામાં શિક્ષક તરીકે દિવ્યાંગોને શિક્ષિત બનાવીને મહિલા સશક્તિકરણનું સર્વોત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે..સુધાબેનનો જન્મ 8 મે 1973ના રોજ આણંદ જીલ્લાના ચાંગા ગામે થયો હતો. તેઓએ એમ, એ. બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને યોગ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓએ શૈક્ષણિક, સામાજિક, વ્યાપારિક ક્ષેત્રે અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે.
21 વર્ષે તેઓ ચાંગા ગામના સરપંચ તરીકે 1995થી 2000 સુધી રહ્યા..પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પોતાના ગામના રજવાડુ અને ગોકુળિયુ બનાવવા મહેનતની સફર અહીથી શરુ થઈ હતી.અવિશ્વસનીય રાજકીય દ્રઢતા અને સુઝબુઝ સાથે ગૌરવપૂર્ણ વહીવટ કર્યો..બાદમાં 1998થી 2004 દરમિયાન આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં કૂલ 600 જેટલી શાળાઓમાં મુલાકાત કરી દિવ્યાંગોનું સર્વેક્ષણ કર્યુ હતુ..સુધાબેનનું માનવુ હતુ કે દિવ્યાંગ હોવાથી જે તકલીફોનો સામનો તેમને કરવો પડ્યો તે અન્ય કોઈ દિવ્યાંગજનને ન થવો જોઈએ..દિવ્યાંગોને તાલીમ આપી પગરભર બનાવવા માટે તેમણે સેવાયજ્ઞ શરુ કર્યો..તેમની શાનદાર મહેનત જોઈને વર્ષ 1999માં ધર્મજ ખાતે તેમને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના વિશિષ્ટ શિક્ષક તરીકે ગુજરાત સરકારે નિમણૂક કરી હતી. બાદમાં સંકલિત શિક્ષણ યોજના પ્રોજેક્ટ શરુ કર્યો. જેમાં દિવ્યાંગ બાળકને સરકારી યોજનાનો લાભ મળી શકે તે માટે પ્રયાસો હાથ ધર્યા..
વર્ષ 2022માં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા સુધાબેન પટલે આણંદમાં સેતુ ટ્રસ્ટની સ્થાપના કરી..ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટ્સ અને દિવ્યાંગ માતા-પિતાવાળા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે આત્મનિર્ભર બનાવવાનો છે.ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલ ચલાવવામાં આવે છે.તેઓ યોગવિદ્યા, સ્કાય રાયડીંગ, ફૂટબોલ, ચેસ અને કેરમ, ક્રિકેટ જેવી રમત-ગમતની પ્રવૃતિઓમાં દિવ્યાંગ વિધાર્થીઓ અને સામાન્ય યુવક-યુવતીઓને પ્રોત્સાહિત, માર્ગદર્શન અને મદદ કરે છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન, પર્યાવરણ સુરક્ષા, મહિલા જાગૃતિ, પ્રાકૃતિક ખેતી સહિતના વિષય અને ક્ષેત્રોમાં જનસામાન્યને મદદરૂપ થી રહ્યા છે.તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહિત 17 જેટલા નામાંકિત એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવે છે, જેમ કે—
• દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રહેઠાણ અને ભોજન વ્યવસ્થા
• કમ્પ્યુટર લૅબ, ડિજિટલ લાઈબ્રેરી અને સંગીત તાલીમ
• સ્પેશિયલ ઓલમ્પિક, ખેલમહાકુંભ અને વિવિધ રમતગમત માટે તાલીમ
• રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ માટે માર્ગદર્શન
• પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે લેખક, વાંચક અને વોલન્ટિયરની વ્યવસ્થા
• સરકારી તથા બિન-સરકારી યોજનાઓના લાભ માટે મદદ
• સામાન્ય આરોગ્ય, દંતચિકિત્સા અને આંખના કેમ્પ
• વિવિધ ઉત્સવો, સંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસનું આયોજન
• કોલેજ અને શાળાની ફીમાં આર્થિક સહાય
• અભ્યાસ માટે ઓડિયો અને ઈ-બુક વ્યવસ્થા
• પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓના રોજગાર માટે પ્રયાસ
• જીવનસાથી પસંદગી અને લગ્ન પ્રક્રિયા માટે સહાય
• મહિલાઓ માટે સિલાઈ, ભરતકામ, બ્યૂટી પાર્લર તાલીમ
• શહેરી બાગાયત વિકાસ (Urban Horticulture Development) તાલીમ
• રક્ષાબંધન અને દિવાળી પર પ્રદર્શન અને વેચાણ
• પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડા -ચણનું વિતરણ, તેમજ પ્રાણીઓને આહાર વિતરણ જેવા કાર્ય
વગેરે.રક્ષાબંધનના દિવસે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રાખડી બાંધે છે.સેતુ ટ્રસ્ટ દ્વારા સુધાબેન પટેલની આગેવાનીમાં વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યું હતું. સુધાબેનને ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા અને અભિનંદનપત્ર પાઠવી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
હાલમાં તેઓ ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી. પટેલ હાયર સેકન્ડરી (કોમન સ્ટ્રીમ) માં દિવ્યાંગોના વિશિષ્ટ શિક્ષક તરીકે ફરજ નિભાવી રહ્યા છે..પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની ગામના સરપંચથી માંડીને સરકારી શિક્ષક સુધીની સફર જાણીને કોઈ પણની આંખોમાં આંસુ આવી જાય..પણ સુધાબેન માને છે કે "રુઓ નહીં મજબૂરીઓ પર, છે જિંદગી બસ સ્વર્ગ જ સ્વર્ગ, આંખ નથી તો શું થયું, કોઈ અંગ નથી તો શું થયું, સમસ્ત વિશ્વ મારૂ ઘર" ...એશિયાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચનો રેકોર્ડ નામે કરનાર સુધાબહેન પટેલ અનેક દિવ્યાંગો માટે દીવાદાંડી બન્યા છે..
