આજથી વલસાડના ધરમપુર ખાતે રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરનું આયોજન
Live TV
-
આજથી વલસાડના ધરમપુર ખાતે રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરનું આયોજન
વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી મહત્વપૂર્ણ 'ચિંતન શિબિર' માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કર્યું હતું.
આ વર્ષે પ્રશાસનિક પરંપરાને જાળવીને એક નવું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યાં તમામ મહાનુભાવોએ પોતાના સરકારી વાહનોને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો અને મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સૌ કોઈ સહપ્રવાસી બનીને વંદે ભારત ટ્રેનમાં રવાના થયા હતા.
'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ' – 12મી ચિંતન શિબિરની થીમ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત અને અસરકારક બનાવવાના હેતુથી વર્ષ 2003માં આ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા, આ વર્ષે શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે. આ ચિંતન શિબિરની મુખ્ય થીમ ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ રાખવામાં આવી છે. આ શિબિરમાં પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી, પારદર્શકતા અને સંવેદનશીલતાની નવી દિશા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
