આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે, સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.65 લાખ આદિજાતિ લાભાર્થીઓને લાભ અપાયો
Live TV
-
ગુજરાત વિધાનસભા ગૃહમાં જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિ રાઠવાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, ગુજરાતમાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ.419 કરોડથી વધુના ખર્ચે કુલ 1.65 લાખ આદિજાતિ લાભાર્થી ભાઈ-બહેનોને લાભ આપવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ 2021-22માં કુલ 778 તેમજ વર્ષ 2022-23માં 966 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે
રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ વધુ વિગતો આપણા ગૃહમાં જણાવ્યું હતું કે,આ યોજના હેઠળ પશુ સારવાર,પશુ આહાર તેમજ પશુ ઉછેર માટે પશુપાલકોને તાલીમ પણ આપવામાં આવે છે. લાભાર્થીને અત્યારે કુલ રૂ. 70 હજારની સહાય કરવામાં આવતી હતી, જેમાં રૂ. 45,000ની સબસીડી, 22,500ની લોન તેમજ લાભાર્થી ફાળા તરીકે રૂ. 2,500 લેવામાં આવે છે.
જ્યારે આગામી બજેટ એટલે કે નાણાકીય વર્ષ 2024-25માં આ રકમ વધારીને રૂ. 90,000 કરવામાં આવી છે જેના પરિણામે પશુપાલન સાથે જોડાયેલી આદિજાતિ મહિલાઓ વધુ આર્થિક સમૃદ્ધ બનશે તેમ,મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
