'આપ'ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો
Live TV
-
આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર અભિયાન આગળ વધારી રહ્યા છે. 29 માર્ચના રોજ ચૈતરભાઈ વસાવાએ 'તમારો દીકરો તમારે દ્વાર' કાર્યક્રમ અંતર્ગત વાગરા વિધાનસભામાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું હતું.
ચૈતરભાઈ વસાવાએ આ દરમિયાન વેરવાડા, દશાન, હિંગલોટ, વડવા, વેસદરા, આમદડા, ભુવા, ભાડભૂત, કાસવા, મનાડ, મેહગામ, કેસરોલ, એડસાલ, નવેઠા, સખબડ, અમલેશ્વર, ઓલાદ અને કલ્લા ગામની મુલાકાત લીધી હતી. આ તમામ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચૈતરભાઈ વસાવાએ આ દરમિયાન વડીલો માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે મુલાકાત કરી અને સ્થાનિક મુદ્દા ઉપર ચર્ચા કરી. તમામ ગામોના લોકોએ ચૈતરભાઈ વસાવવાને આવનારી લોકસભા ચૂંટણીમાં પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી. આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો આવી ગયો છે.
ભાજપ સરકાર સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માંગે છે. ભાજપ સરકાર તાનાશાહી ઢબે સરકાર ચલાવી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખી દીધા છે. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચીને જુઠા કેસો કરવામાં આવ્યા છે અને જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જ રીતે અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી અને સત્યેન્દ્ર જૈનજીને જેલમાં મોકલવામાં આવ્યા છે.
તમે એ પણ જોયું હશે કે દેશના એક માત્ર આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તમામ લોકોએ સાથે મળીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત અપાવવાની છે. ઇન્ડિયા ગઠબંધન જ દેશમાં લોકતંત્રને બચાવી શકે છે, માટે હું ભરૂચના તમામ લોકોને વિનંતી કરીશ કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડું પર બટન દબાવીને મને એક ઐતિહાસિક જીત અપાવો, જેથી આપણે સાથે મળીને દેશના લોકતંત્રને બચાવી શકીએ.
