આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગરની મુલાકાતે, તાલુકા પુસ્તકાલયનું કર્યુ લોકાર્પણ
Live TV
-
ગુજરાત સરકારે દરેક તાલુકામાં સરકારી પુસ્તકાલય સ્થાપવાના નિર્ણય અંતર્ગત વિસનગરમાં રૂ. 20 લાખના ખર્ચે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રોટરી ક્લબ પાસે ઋષિકેશ માર્કેટમાં આ પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે.
આ પુસ્તકાલયનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે પુસ્તકાલયના તમામ વિભાગોની મુલાકાત લઈ પુસ્તકોને નિહાળ્યા હતા.
નવા પુસ્તકાલયમાં 5000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે 100 વાચકો એક સાથે બેસી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે વિસનગર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ વાંચન પ્રેમીઓ માટે આ પુસ્તકાલય જ્ઞાનનું કેન્દ્ર બનશે.
પુસ્તકાલયમાં જનરલ વિભાગ, મહિલા અધ્યયન ખંડ, સામાજિક દૈનિક પેપર વિભાગ અને વિદ્યાર્થી અધ્યયન ખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાંચકો પુસ્તકાલયમાંથી પુસ્તકો ઘરે લઈ જઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પુસ્તકાલય મંગળવારથી શનિવાર સવારે 10:30થી સાંજે 6:10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રવિવારે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી સેવા આપશે. સોમવાર અને જાહેર રજાના દિવસે પુસ્તકાલય બંધ રહેશે.
