આવાસ ક્રાંતિ: ગુજરાતમાં ચાલુ વર્ષે 93 હજાર લોકોને મળ્યું ઘરનું ઘર, 3 વર્ષમાં અઢી લાખથી વધુ નાગરિકોએ લીધો લાભ
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) (PMAY-G)એ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને રહેણાંક સુવિધાથી વંચિત પરિવારો માટે પોતાના આવાસનું એટલે કે ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2023થી 2025 સુધી 2.58 લાખથી વધુ આવાસો લાભાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષે 93 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, આ આવાસો થકી ગ્રામીણ પરિવારોના જીવનસ્તર, આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે.
PMAY-G યોજનામાં કેન્દ્રનો 60 ટકા અને રાજ્ય સરકારનો 40 ટકા ફાળો હોય છે. જેમાં લાભાર્થીને આવાસ દીઠ રૂ. 1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી આવાસ બાંધકામના રૂફ કાસ્ટ તબક્કે વધારાના રૂ.50 હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.આ રકમ લાભાર્થીને પોતાનું પાકું તથા સુવિધાસભર ઘર બાંધવામાં મદદરૂપ બને છે, આમ રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે.
ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગ્રામીણ સ્તરે જમીન વિહોણા નાગરિકોને પણ પોતાનું પાકું ઘર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા પ્લોટ વિહોણા આશરે 3 હજાર જેટલા લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે દસ્તાવેજની રકમ અથવા રૂ. 1 લાખ સુધી, બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય ચૂકવવા 100 ટકા રાજ્ય ફાળા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે.
PMAY-G યોજના અંતર્ગત તાજેતરમાં નર્મદા ખાતે ભગવાન બિરસા મૂંડાની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 1008.19 કરોડના ખર્ચે કુલ 61,125 લાભાર્થીઓનો ઈ-ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો, જે રાજ્યના ગામડાઓમાં વિકાસ અને આવાસ ક્રાંતિનો ઉત્તમ દાખલો છે.
આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ બની રહી છે અને વિકસિત ભારત@2047માં મહત્ત્વનું યોગદાન આપી રહી છે.
