ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ વિભાગ માટે 'ઊર્જા સંવર્ધનમ' વેબપોર્ટલ કર્યું લૉન્ચ
Live TV
-
ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ વિભાગની કામગીરીમાં ક્રાંતિ લાવવા માટે મહત્ત્વપૂર્ણ 'ઊર્જા સંવર્ધનમ' નામનું વેબપોર્ટલ લૉન્ચ કર્યું છે.
આ પોર્ટલ વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકોના વીજ વપરાશ સુધીનો તમામ ડેટા સંગ્રહિત કરશે અને ભવિષ્યની યોજનાઓના અમલીકરણ માટે ચાવીરૂપ સાબિત થશે.પોર્ટલમાં રાજ્યના તમામ સબ સ્ટેશન અને સબ ડિવિઝનની માહિતી ફિડ કરવામાં આવી છે. આનાથી કયા વિસ્તારમાં અને કયા સમયે કેટલો વીજ વપરાશ થાય છે, તેનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ થશે. ગ્રાહક સેવાઓ સુદૃઢ કરવા માટે વીજ વપરાશ ઉપરાંત લાઇન ટ્રીપ, શટ ડાઉનનો સમયગાળો જેવી તમામ માહિતી આ પોર્ટલ પરથી મળી રહેશે.
સંગ્રહિત ડેટાના આધારે કયા વિસ્તારમાં કેટલો વીજ વપરાશ થશે તેનું અનુમાન (ફોરકાસ્ટ) લગાવી શકાશે. આનાથી નવા સબ સ્ટેશનો નાંખવા અને નવી લાઇનો નાખવા સહિતની માળખાકીય કામગીરીનું લાંબાગાળાનું આયોજન શક્ય બનશે.મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકાર વિકાસના કામોમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરીને ભવિષ્યનું આયોજન કરી રહી છે, જેમાં આ પોર્ટલ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભવિષ્યમાં ઊર્જા ઉત્પાદનને પણ આ પોર્ટલ સાથે સાંકળવામાં આવશે.
