ઓલ ઇન્ડિયા રેડિયોલોજિસ્ટ એસોસિએશનના પ્રમુખ સહિત 370થી વધુ તબીબો ભાજપમાં જોડાયા
Live TV
-
રાષ્ટ્રીય એકતા અભિયાન- એક દેશ, એક સંવિધાન નો ગુજરાતમાં ભવ્ય પ્રારંભ
કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણયને દેશના તમામ વર્ગના લોકો આવકારી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં 370 ડોક્ટરોએ એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના હસ્તે ખેસ પહેર્યો હતો. અમદાવાદના 370 જેટલા તબીબો મીસકોલ કરીને ભારતીય પાર્ટીના સભ્યો બન્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદી પાર્ટી છે, અને 370મી કલમ કાશ્મીરમાંથી દુર કરાતા તમામ દેશવાસીઓમાં ખુશી છે. ડોક્ટરોએ પણ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઇને ભાજપમાં જોડાયા છે. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી તતા સંપર્ક અભિયાનના પ્રદેશ સહસંયોજક અમિત ઠાકર, સાંસદ કીરીટ સોલંકી સહિત નામાંકિત તબીબો હાજર રહ્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના સમર્થનમાં સમર્પણભાવ સાથે દર્દીની સેવા કરતાં અનેક સિધ્ધિઓ હાંસલ કરી ચૂકેલ ૩૭૦ તબીબો આજે ભાજપાની સદસ્યતા ગ્રહણ કરી રહ્યા છે તે ખૂબજ ગૌરવપૂર્ણ બાબત છે. ૩૭૦ કલમ હટાવવાના સમર્થનમાં ૩૭૦ તબીબોનો ભાજપા સદસ્યતા ગ્રહણ કરવા યોજાયેલ આજનો આ વિશિષ્ટ કાર્યક્રમ સમાજમાં નોંધપાત્ર અસર કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ભાજપા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને ભાજપા માં ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે તત્વ અને સત્વના ભાવ સાથે સતત કાર્યશીલ છે ત્યારે આપ સૌ તબીબગણ ભાજપાના વિશાળ પરિવારનો હિસ્સો બન્યા છો તે બદલ હું આપ સૌને હદયપૂર્વક આનંદની લાગણી સાથે આવકારું છું. રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા ભારતીય જનતા પક્ષ સાથે જોડાઇને તબીબો સ્વસ્થ સમાજના નિર્માણ તથા ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મૂલ્યવાન યોગદાન આપીને સાચા અર્થમાં દેશભક્તિનું ઉદાહરણ સ્થાપિત કરશે.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિદેશ યાત્રાઓ પર વિપક્ષ અને અન્ય કેટલાક લોકો પ્રશ્નાર્થ ઉભો કરતા હતા પરંતુ આજે એ મહત્વપૂર્ણ કુટનીતિક વિદેશ યાત્રાઓના ફલસ્વરૂપ જ આજે ભારત વિશ્વપટલ પર પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યુ છે અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ થઇ રહ્યુ છે. આ ઉપરાંત કલમ-૩૭૦ હટાવવાના નિર્ણયને વિશ્વના તમામ દેશો પાસેથી સમર્થન મળી રહ્યુ છે જેનો શ્રેય શ્રી નરેન્દ્રભાઇ મોદીની કુટનીતિક સુઝબુઝને જાય છે. ભારત એક શક્તિશાળી દેશ છે, ભારતમાં અપાર તકો છે તે વાત વિશ્વના ખૂણે ખૂણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પહોંચાડી છે અને આજે સમગ્ર વિશ્વ સકારાત્મક રીતે ભારત તરફ જોઇ રહ્યુ છે.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાનો વિચાર એટલે દેશભક્તિનો વિચાર. સર્વસમાવેશી વિચાર, ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’’નો વિચાર… ભાજપાનું લક્ષ્ય દેશના છેવાડાના માનવીને વિકાસના ફળો પહોંચાડવાનું છે જેથી છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના માનવી સાથે થયેલ અન્યાય દૂર થાય. ભાજપાનો દરેક કાર્યકર્તા ‘‘પથ કા અંતિમ લક્ષ્ય નહીં હે સિંહાસન ચઢતે જાના, પથ કા અંતિમ લક્ષ્ય હૈ સભી સમાજ કો સાથ લીયે બસ આગે હી બઢતે જાના’’ ના ભાવ સાથે કાર્ય કરી રહ્યા છે.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કાશ્મીર ત્યાગ, બલીદાન અને તપશ્ચર્યાની ગૌરવશાળી ભૂમિ છે. દેશના દરેક નાગરિકને કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયનો અનેરો આનંદ અને ઉત્સાહ છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. એક ભારત - શ્રેષ્ઠ ભારત, શક્તિમાન ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશહિતમાં એક પછી એક નિર્ણય લઇ રહ્યા છે.
શ્રી વાઘાણીએ ગૌરવની લાગણી સાથે ભાજપાના રાષ્ટ્રવાદી વિચારને સમર્થન આપી ભાજપામાં જોડાવવા બદલ તમામ ૩૭૦ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો અને દેશની સંસ્કૃતિ - સંસ્કારો - પરંપરા અને વારસાની જાળવણી કરવા યથાયોગ્ય યોગદાન આપવા માટે સૌને અપીલ કરી હતી.
