કચ્છઃ અંજાર, આદિપુર, ભુજ, નાગલપર સહિત કુલ 35 જગ્યાએ ધરતીકંપ માપવાના GPS લગાવાયાં
Live TV
-
કચ્છમાં અવાર નવાર આવેલા ભૂકંપે આ પ્રદેશને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. 1819ના અલ્લાહ બંદ ભૂકંપ, 1845ના સુંદા ભૂકંપ, 1956ના અંજારના ભૂકંપ બાદ 2001ના વિનાશકારી ભુજના ભૂકંપે કચ્છની દશા હંમેશા માટે બદલી હતી. ઈતિહાસમાં આવેલા આવા અનેક ભૂકંપ થકી હવે કચ્છમાં ભૂકંપ પ્રત્યે અનેક રીતે સાવધાની રાખવામાં આવે છે.
2001ના ભૂકંપમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તો લાખો લોકો બેઘર થયા હતા. કચ્છના ઇતિહાસની એ સૌથી દર્દનાક ઘટનાની તસવીરો આજે પણ લોકોના મગજમાં એક ખૂણે ઘર કરીને બેઠી છે. 2001 બાદ તંત્ર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા ભૂકંપને લઈને અનેક સાવચેતી વર્તવામાં આવી રહી છે. ભચાઉ તાલુકાના વામકા ખાતે એક ખાસ ભૂકંપ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું જે 24 કલાક કચ્છની ધરતીમાં ધ્રુજારી અંગે નોંધ લે છે.
તો હાલ થોડા સમય પહેલા જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા કચ્છમાં 35 જેટલી જગ્યાઓ પર સંશોધન અર્થે હાઈ પાવર જીપીએસ એન્ટેના મુકવામાં આવ્યા છે. અંજાર, આદિપુર, ભુજ, નાગલપર સહિત કુલ 35 જેટલી જગ્યાઓ પર આ હાઈ પાવર જીપીએસ એન્ટેના બેસાડવામાં આવ્યા છે જે દરેક મિનિટે તે ભૂમિમાં થતી હલન ચલનને નોંધી તેની વિગતો સાચવે છે. આ જીપીએસ મોબાઈલ અને અન્ય ઉપકરણોમાં આવતા જીપીએસ કરતા અનેક ગણું વધારે તાકાતવર છે અને 0.1 મિલીમિટરનું હલન-ચલન પણ નોંધ કરે છે.
આવું જ એક જીપીએસ એન્ટેના ભુજમાં આવેલી કચ્છ યુનિવર્સિટીમાં પણ લગાડવામાં આવ્યું છે. ત્યારે આ ઉપકરણ મુદ્દે જણાવતા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના હેડ ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ ઉપકરણ દર મિનિટે તે જમીનમાં થતી હલન ચલનને નોંધે છે. આવી હજારો નોંધણી વર્ષના અંતે ભેગી કરી તેનો સરવાળો કરવામાં આવે છે જેથી ખબર પડે છે કે એક વર્ષમાં તે જમીન પોતાની મૂળ જગ્યાથી કેટલી ખસી છે. તે મુજબ કચ્છમાં આવેલી ચાર ફોલ્ટલાઈન પર કેટલું દબાણ પેદા થાય છે અને તે પ્રમાણે ફોલ્ટલાઈન પર આવેલી પ્લેટને નુકસાન થઈ શકે છે તે મુદ્દે સંશોધન કરાય છે. આ પ્લેટના હલન ચલનથી વિનાશક ભૂકંપ પણ ત્રાટકી શકે છે તેવું ડૉ. ઠક્કરે જણાવ્યું હતું.
