કચ્છની સુગંધ: અંજાર APMCમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી, રોજના 30 થી 40 હજાર બોક્સની આવક
Live TV
-
કચ્છની સુગંધ: અંજાર APMCમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી, રોજના 30 થી 40 હજાર બોક્સની આવક
ઉનાળાની ઋતુ જામતાની સાથે જ કેરીના રસિકો માટે ખુશખબર સામે આવ્યા છે. કચ્છી માડુઓની ફેવરિટ અને સ્વાદિષ્ટ કચ્છી કેસર કેરીનું કચ્છના અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભવ્ય આગમન થઈ ગયું છે. બજારમાં અત્યારથી જ કેરીની જોરદાર આવક શરૂ થઈ ગઈ છે, જેના કારણે માર્કેટ યાર્ડ કેસર કેરીની સુગંધથી મગમગી ઉઠ્યું છે.
રોજના 40 હજાર બોક્સની આવક, ગૃહિણીઓ માટે રાજાપુરી પણ તૈયાર
અંજાર માર્કેટ યાર્ડના વેપારીઓ અને સત્તાધીશોના જણાવ્યા અનુસાર, હાલ બજારમાં દૈનિક 30,000 થી 40,000 જેટલા કેસર કેરીના બોક્સ ઠલવાઈ રહ્યા છે. કેસર કેરીની સાથે-સાથે અથાણાં માટે પ્રખ્યાત એવી 'રાજાપુરી' કેરી પણ બજારમાં પૂરતા પ્રમાણમાં જોવા મળી રહી છે, જેને ખરીદવા માટે અત્યારથી જ ગૃહિણીઓની ભીડ જામવા લાગી છે.શું ચાલી રહ્યા છે કેરીના ભાવ?
બજારમાં આવક સારી હોવાના કારણે ભાવ હાલ સામાન્ય નાગરિકોના ખિસ્સાને પરવડે તેવા જોવા મળી રહ્યા છે. ₹50 પ્રતિ કિલોથી શરૂ થઈને ગુણવત્તાના આધારે ₹110 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.
ખેડોઈ ગામના ખેડૂતોનું મોટું યોગદાન, કમિશનમાંથી મુક્તિ
કચ્છનું ખેડોઈ ગામ બાગાયતી ખેતી માટે જાણીતું છે. આ ગામના અંદાજે 700 થી 800 જેટલા પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે ગુણવત્તાયુક્ત કેસર કેરી અને ખારેકનું ઉત્પાદન કરી રહ્યા છે. ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે અંજાર માર્કેટમાં વેચાણ અર્થે આવતા કોઈપણ ખેડૂત પાસેથી વહીવટી તંત્ર કે વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જેથી ખેડૂતોને તેમના પાકના પૂરેપૂરા અને સારા દામ મળી રહે છે.
શ્રમિકોને મળી રહી છે ઉત્તમ રોજગારી
કેરીની સીઝન માત્ર ખેડૂતો કે વેપારીઓ માટે જ નહીં, પરંતુ સ્થાનિક મજૂરો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેરીના પેકિંગ, લોડિંગ અને સોર્ટિંગની કામગીરીને કારણે માર્કેટ યાર્ડમાં સેંકડો શ્રમિકોને રોજગારી મળી છે. હાલમાં શ્રમિકોને દૈનિક ₹600 થી ₹700 જેટલી સારી મજૂરી મળી રહી છે, જેનાથી તેમના પરિવારોમાં પણ ખુશીનો માહોલ છે.
આગામી દિવસોમાં કચ્છી કેસરની આવક હજુ વધશે અને ભાવમાં વધુ સ્થિરતા આવશે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
