કચ્છમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ખાતે પ્રાકૃતિક ખેતી યુવા સંમેલનનું કરાયું આયોજન
Live TV
-
Kaushik Kanthecha - Kutch
હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે યુવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે નવી કાર્યદિશા અને કાર્ય યોજના નિશ્ચિત કરવા માટે ખેડૂતોનું પ્રાકૃતિક ખેતી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના યુવા ખેડૂતોની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે. તો બીજા અનેક યુવાનો આવી રહ્યા છે. અત્યાર સુધી વરિષ્ઠ ખેડૂતોએ 25 વર્ષથી પ્રાકૃતિક ખેતી માટે જે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા છે અને પ્રયાસરૂપી બીજ વાવ્યું છે તેને હવે વાતાવરણ મળતુ થયું છે. ત્યારે હવે યુવાનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતોનું પ્રાકૃતિક ખેતી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે.
પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમુત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃતનું ઉપયોગ કરવામાં આવે છે. શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં દરેક જગ્યાએ ઝેરનું પ્રમાણ વધ્યું છે. આરોગ્યના કેસ વધ્યા છે. જમીન પાણી બંજર થયા છે. જેના કારણે દરેક ખેડૂતોમાં ચિંતાનો વિષય ફેલાઈ રહ્યો છે. કૃષિ છે તે દુનિયાની સૌથી મોટી રોજગારલક્ષી ક્ષેત્ર છે. પરંતુ હાલમાં તે પડી ભાંગવાના આરે છે. અગાઉ જેવી રીતે ખેતીમાં ફાયદો થતો હવે આજે તે ખતમ થવાના આરે છે. માનવજગત અને જીવસૃષ્ટિ પણ પીડિત છે. અન્ન છે તે ઔષધ હતું પણ આજે ઝેર બન્યું છે.
શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે પ્રાકૃતિક ખેતી માટે તાલીમાર્થીને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત સજીવ ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને તેમના 10 એકરમાં સજીવ ખેતી મારફતે ખેતી કરવા માટે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ મદદરૂપ પણ થાય છે. આજે યુવા ખેડૂતો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોને પ્રાકૃતિક ખેતી અંગેના જે પ્રશ્નો અને સમસ્યા છે તે અહીં હલ કરી શકાય.
