કેન્દ્રીય મંત્રી અમિત શાહે બે દિવસીય “અર્થ સમિટ 2025-26”નો પ્રારંભ કરાવ્યો, સહકાર ક્ષેત્રનું GDP યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય
Live TV
-
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય "અર્થ સમિટ 2025-26"નો શુભારંભ કરાવ્યો, જેમાં તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય સહકાર ક્ષેત્રનું GDP યોગદાન ત્રણ ગણું વધારવાનું છે. તેમણે ગ્રામીણ વિકાસ માટે બજેટમાં ત્રણ ગણા વધારાની વાત કરી, દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા અને 50 કરોડ સભાસદો બનાવવાની નેમ વ્યક્ત કરી, અને 'સહકાર સારથી' ડિજિટલ પહેલ તેમજ સહકાર ટેક્સી/ઇન્સ્યોરન્સ જેવી નવી સેવાઓ લોન્ચ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું પ્લેટફોર્મ ગણાવ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની અર્થવ્યવસ્થામાં ગ્રામીણ ક્ષેત્રને મોટો ફાળો આપતો બનાવવાના વિઝન સાથે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય “અર્થ સમિટ 2025-26”નો ભવ્ય શુભારંભ કરાવ્યો. આ સમિટ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે.
સહકાર ક્ષેત્રની મજબૂતીકરણ પર કેન્દ્રીય મંત્રીનો ભાર
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારત સરકારે દેશની GDPમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના મંત્રને પુનર્જીવિત કરીને, પ્રધાનમંત્રીએ ગ્રામીણ વિકાસ, કૃષિ અને સહકાર ક્ષેત્ર પર ભાર મૂક્યો છે. વર્ષ 2014 થી 2025-26 સુધીમાં આ ત્રણેય મંત્રાલયોના સંયુક્ત બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે, જે 1.02 લાખ કરોડ રૂપિયાથી વધીને 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે.
શાહે દેશના સહકારી ક્ષેત્રના વિકાસ માટે બે મોટા લક્ષ્યો જાહેર કર્યા:
- દેશની દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થાની સ્થાપના.
- દેશભરમાં 50 કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવવા.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ 'અર્થ સમિટ'ના ચિંતનથી ગ્રામીણ અર્થવ્યવસ્થાના મોટા પડકારોનો ઉકેલ લાવી શકાશે અને દેશના સહકારી ક્ષેત્રને વધુ પારદર્શી, સર્વસમાવેશી અને નફાકારક બનાવી શકાશે.
ટેકનોલોજી અને નવા પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ
ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા શાહે 'સહકાર સારથી' પહેલ અને તેની ડિજિટલ સેવાઓનું લોન્ચિંગ કર્યું. આ પહેલ ગ્રામીણ, જિલ્લા અને અર્બન કો-ઓપરેટીવ બેંકોને ખાનગી બેંકોની સમકક્ષ આધુનિક ટેકનોલોજી પૂરી પાડશે, જે RBIના માપદંડોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે અને કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને સુવિધાઓ આપશે.
વધુમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના બનાસકાંઠા-પંચમહાલનું “કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવ” મોડલ જરૂરી સુધારા બાદ સમગ્ર દેશમાં લાગુ કરાશે, જેણે કો-ઓપરેટિવ બેંકોમાં લો કોસ્ટ ડિપોઝિટમાં હજારો કરોડનો વધારો કર્યો છે.
આગામી સમયમાં સહકાર ક્ષેત્રમાં બે નવી સેવાઓ પણ શરૂ થશે:
સહકાર ટેક્સી: આગામી બે વર્ષમાં દેશની સૌથી મોટી ટેક્સી કંપની બનવાનો લક્ષ્ય.
સહકાર ઇન્સ્યોરન્સ:દરેક ગામમાં ત્રણ યુવાનોને રોજગારી આપશે.વિકસિત ભારતના સંકલ્પનું પ્લેટફોર્મ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દ્વિદિવસીય સમિટને કૃષિ, ગ્રામીણ અને નવાચારના સશક્તિકરણ માટે યોગ્ય સમયનું આયોજન ગણાવ્યું. તેમણે કહ્યું કે આ સમિટ સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, એગ્રી સાયન્ટીસ્ટ્સ અને રિસર્ચર્સને એક સાથે લાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રીના હસ્તે રાજ્ય સરકારના “સ્ટેટ ફોકસ પેપર ઓફ ગુજરાત 2026-27” અને નાબાર્ડ-BCGના “ગ્રામીણ બેન્કિંગ કા ભવિષ્ય" વિષય પરના સંશોધન પત્રનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ શુભારંભ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, બેન્કર્સ, ઉદ્યમીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
