કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વાસ્થ્ય ચિંતન શિબિર”નું થયું સમાપન
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના કેવડિયા ખાતે 5મી થી 7મી મે દરમ્યાન યોજાયેલી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર (CCHFW)ની 14મી કૉન્ફરન્સ 'સ્વાસ્થ્ય ચિંતન શિબિર'નાં સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને ડૉ. વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય), નીતિ આયોગ, રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવો, રાજ્યના આરોગ્ય પ્રતિનિધિઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓ, નીતિ આયોગ, ICMR અને વૈજ્ઞાનિકોએ આ ત્રણ દિવસીય પરિષદમાં ભાગ લીધો હતો.
ડૉ. માંડવિયાએ ત્રણ દિવસીય "સ્વાસ્થ્ય ચિંતન શિબિર" માં લગભગ 25 આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓની સહભાગિતાની પ્રશંસા કરતાં કહ્યું કે, રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓની રજૂઆતને કારણે અમે જ્ઞાનની ઊંડી સૂઝથી સમૃદ્ધ થયા છીએ. આનાથી અમને આરોગ્ય ક્ષેત્રે સરકારી યોજનાઓનાં અસરકારક અમલીકરણ અંગેનું જ્ઞાન મળ્યું હતું. તમામ રાજ્યોએ એક શ્રેષ્ઠ પ્રથા વહેંચી છે, તેથી હવે અમારી પાસે શીખવા અને સમગ્ર દેશમાં અમલમાં મૂકવા માટે 25થી વધુ શ્રેષ્ઠ પ્રથાઓ છે. કેન્દ્રનાં અને રાજ્યોનાં લક્ષ્યો પૂરક છે. તે રાજ્યનું ધ્યેય છે જે કેન્દ્રીય સ્તરે નીતિ નિર્માણને વ્યાખ્યાયિત કરશે. મંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય એ આપણા માટે વાણિજ્ય નથી પણ સેવા છે. આપણે મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને 'હીલ બાય ઈન્ડિયા' અને 'હીલ ઈન ઈન્ડિયા' એ આવનારાં વર્ષોમાં આપણી હેલ્થ ઈકોસિસ્ટમના બે મહત્વપૂર્ણ સ્તંભો છે જે ભારતને વૈશ્વિક આરોગ્ય નેતા તરીકે સ્થાન આપશે.
મંત્રી ડૉ. માંડવિયાએ મોતિયાની શસ્ત્રક્રિયાના બેકલોગને દૂર કરવા માટે રાષ્ટ્રીય પહેલ માટે સહયોગનું પણ આમંત્રણ આપ્યું. તેમણે રાજ્યના મંત્રીઓને ઈ-સંજીવની દ્વારા ટેલિકન્સલ્ટેશનને લોકપ્રિય બનાવવા વિનંતી કરી હતી. 'હું તમામ મંત્રીઓને અપીલ કરું છું કે તમારી જિલ્લા મુલાકાતો દરમિયાન AB HWC ની મુલાકાત લો અને વ્યક્તિગત રીતે આ યોજનાનું નિરીક્ષણ કરો. આનાથી કોવિડ દરમિયાન સમુદાયને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.'
ડૉ. ભારતી પ્રવિણ પવારે કહ્યું હતું કે, ચિંતન શિબિરે આપણને આરોગ્ય ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત સેવા વિતરણનાં વિવિધ પાસાઓ પર સામૂહિક મંથનનું લાભદાયી સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કોવિડ-19 સામેની લડાઈમાં કેન્દ્ર અને રાજ્યોના સહયોગી અભિગમની પ્રશંસા કરતા, તેમણે રસીના 190 કરોડ ડોઝના સીમાચિહ્નરૂપ સીમાસ્થંભ સુધી પહોંચવા બદલ રાજ્યોની પ્રશંસા કરી. આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને 'વિશ્વ ગુરુ' બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ", એમ તેમણે જણાવ્યું.
CCHFW ની 14મી પરિષદ 'સ્વાસ્થ્ય ચિંતન શિબિર'ના ત્રીજા દિવસે રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓ પર વિષયોનું સત્ર, ભારતનો જાહેર આરોગ્ય પ્રતિસાદ અને કોવિડ-19માંથી બોધપાઠ, ભાવિ આરોગ્ય કટોકટીઓ માટે ભારતને તૈયાર કરવું, હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા અને તંદુરસ્ત ભારત માટે રોડમેપ જેવા વિષયો પર વિષયસત્રો આયોજિત કરવામાં આવ્યા હતા. દરેક રાજ્યના અનુભવોમાંથી શીખવા માટે એક મંચ પૂરો પાડવા માટે, રાજ્યના આરોગ્ય પ્રધાનો અને રાજ્યના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ રાજ્યોમાંથી આરોગ્ય વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય અને સુખાકારીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યોએ બધા માટે સુલભ, સસ્તુ અને સમાન આરોગ્ય સંભાળના પવિત્ર ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યોને આરોગ્ય ક્ષેત્રની વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનાં અમલીકરણની સમીક્ષા કરવા ઉપરાંત દેશમાં આરોગ્ય ઇકોસિસ્ટમના ભાવિ રોડમેપ પર ચર્ચા કરવા, વિચાર-વિમર્શ કરવા અને ભલામણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
