ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય
Live TV
-
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: જમીન માપણીની ક્ષતિઓ સુધારવા સમગ્ર રાજ્યમાં ‘ભૂમિ સીમાંકન’ અભિયાન શરૂ થશે
ગુજરાતના ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્રમોલગેશન (જમીન આલેખન) પ્રક્રિયા દરમિયાન રહી ગયેલી માપણીની ક્ષતિઓને સુધારવા માટે હવે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ રીતે 'ભૂમિ સીમાંકન' દ્વારા નિકાલ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગે મહેસૂલ વિભાગને જરૂરી દિશાનિર્દેશો આપી દીધા છે.
નિર્ણયની મુખ્ય વિશેષતાઓ:
દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'જિલ્લા ભૂમિ સીમાંકન સમિતિ' કાર્યરત કરવામાં આવશે, જે ક્ષતિ સુધારણાની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. પ્રમોલગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણાની અરજીઓના ઝડપી નિકાલ માટે તેને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જેથી પ્રશ્નોનું વર્ગીકરણ કરીને ત્વરિત ઉકેલ લાવી શકાય. જમીન માપણીને લગતા જટિલ અને લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે.
ખેડૂતોને શું ફાયદો થશે?
આ નિર્ણયથી વર્ષોથી જમીન માપણીની ભૂલોને કારણે પરેશાન થતા ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. પારદર્શક પદ્ધતિથી જમીન રેકોર્ડ સુધરતા ખેડૂતોના હિતોની રક્ષા થશે અને રાજ્યમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' (Ease of Doing Business) ને વધુ વેગ મળશે.
