ખેતી નિયામકની કચેરી દ્વારા ખરીફ કઠોળ પાક માટે રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર
Live TV
-
ખરીફ કઠોળ પાકમાં થતા રોગોના સંકલિત વ્યવસ્થાપનને ધ્યાને રાખીને ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતોને જાગૃત કરવા તેમજ તેમના પાકને રોગમુક્ત રાખવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત કરવા મગની ગુજરાત આણંદ મગ-5, મગ-6, મગ-7 તેમજ અડદની ટી-9 જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેતી નિયામકની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલા દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરી શકાય છે. વિષાણુંથી થતી પાનની કરચલીને નિયંત્રણમાં લાવવા માટે બિયારણનું વાવેતર કરતા પહેલા ૫૫ સેં.ગ્રે. ગરમ પાણીમાં તેને 30 મીનીટ સુધી રાખ્યા પછી ઉપયોગમાં લેવું જોઈએ. આવું કરવાથી પાકમાં થતા રોગને અટકાવી શકાય છે. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની ફેરબદલી કરવી હિતાવહ છે.
આ ઉપરાંત બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફુગનાશકોનો 2-3 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો જોઈએ. જીવાણુંથી થતા પાનના ટપકાના રોગને નિયંત્રણમાં લાવવા બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન 250 પી.પી.એમ. દ્રાવણમાં ૧૫ મીનીટ બોળી રાખીને પછી તેની વાવણી કરવી જોઈએ.
