ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ: CM ભૂપેન્દ્ર પટેલે યોજી હાઈ-લેવલ બેઠક
Live TV
-
ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ: CM ભૂપેન્દ્ર પટેલે યોજી હાઈ-લેવલ બેઠક
ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં તાજેતરમાં 4 સિંહ બાળના મૃત્યુ થતાં જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને સિંહોની સુરક્ષા માટે કડક સૂચનાઓ આપી છે.
17 સિંહોને કરાયા આઇસોલેટ: ડૉ. વિનોદ રાવ
વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવે બેઠકમાં મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીરના જુદા જુદા વિસ્તારોમાં 4 સિંહ બાળના મૃત્યુ નોંધાયા છે. સાવચેતી અને સલામતીના આગોતરા પગલા રૂપે, જે વિસ્તારોમાં આ ઘટનાઓ બની છે ત્યાંના 17 જેટલા સિંહોને હાલ આઇસોલેટ (અલગ) કરીને નિષ્ણાતોની દેખરેખ હેઠળ ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
ગીર ગઢડા અને બાબરીયામાં 10 કિમી ત્રિજ્યામાં સઘન મોનિટરિંગ
વન વિભાગ દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાઓની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ (બાજ નજર) કરવામાં આવી રહ્યું છે. હાલ શંકાસ્પદ વિસ્તારના અન્ય કોઈ પણ સિંહમાં કોઈ ગંભીર બીમારી કે અસાધારણ લક્ષણો જોવા મળ્યા નથી. માત્ર જંગલ જ નહીં, પરંતુ અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી (રેવન્યુ) વિસ્તારોમાં પણ વન વિભાગની ટીમો દ્વારા સિંહોનું સતત નિરીક્ષણ કરીને રોજનો હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ઉનાળાની સીઝનલ બીમારી સામે 'ડી-ટિકિંગ' ડ્રાઈવ
ઉનાળાની શરૂઆતમાં સિંહોમાં લોહી ચુસતી ઇતરડી (Ticks) ના કારણે થતી સીઝનલ બીમારીઓ (જેમ કે બબેસિયા ઇન્ફેક્શન) નો ખતરો વધી જતો હોય છે. તેનાથી બચવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. ગીર વિસ્તારના 350 થી વધુ સિંહોના ડી-ટિકિંગ (ઇતરડી મુક્ત કરવાની પ્રક્રિયા) અને અન્ય આરોગ્યલક્ષી રેઝક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાતો મેદાનમાં
અગ્ર મુખ્ય વન સંરક્ષ જયપાલ સિંઘે જણાવ્યું કે, સિંહોની સારવાર અને તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે જૂનાગઢ વેટરનરી કોલેજના વરિષ્ઠ અને નિષ્ણાત તબીબોની ખાસ મદદ લેવામાં આવી રહી છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે વન્યજીવ પ્રેમીઓને આશ્વાસન આપ્યું છે કે ગીરના રાજા સિંહોના સંરક્ષણ માટે તમામ જરૂરી કાયદાકીય અને તબીબી પગલાં લેવામાં આવી રહ્યા છે.
