ગુજરાતની ગર્જના: સિંહની સંખ્યા 891; યાયાવર પક્ષીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો
Live TV
-
ગુજરાત રાજ્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સિંહ, મોર, નીલગાય સહિત 21 પ્રજાતિઓની 9.53 લાખથી વધુ વસ્તી, એશિયાટિક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો (2025માં 891), યાયાવર પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો, અને દાહોદના રતનમહાલમાં વાઘની ઉપસ્થિતિએ ગુજરાતને વન્યજીવ માટે 'સ્વર્ગ' બનાવ્યું છે. 'કરુણા અભિયાન' જેવી પહેલ દ્વારા સંરક્ષણની કામગીરી સુપેરે ચાલી રહી છે.
વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. કુદરતી વનરાજી, ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ - યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
નોંધનીય છે કે, દર વર્ષે 04 ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે. ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના દાહોદમાં આવેલા રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઇ છે જે રાજ્યની જીવ સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે. હવે ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2001માં સિંહની સંખ્યા 327, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી તે હવે વર્ષ 2025માં વધીને 891 થઈ છે.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી 2023 મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર 2.85 લાખથી વધુ, નીલગાય 2.24 લાખથી વધુ, વાંદરા 2 લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત 9,170 કાળીયાર, 8,221 સાંભર, 6,208 ચિંકારા, 2,229 શિયાળ, 2,274 દિપડા, 2,272 લોંકડી, 2,143 ગીધ, 1,484 વણીયર, 1 હજારથી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ 9.53 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે.
આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં વર્ષ 2024માં અંદાજે 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ 2010માં થોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ 2024માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને 276 ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ 680 જેટલી ડોલ્ફિન તેમજ 7,672 જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ:
વન વિભાગની વન્યપ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લા સ્તરે ઉપસ્થિત થતા વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે વન્યપ્રાણીઓના અવર જવર વાળા વિસ્તાર તેમજ સ્થાનિક લોકોના નિવાસના વિસ્તારોમાં વન્યપ્રાણી રેસ્ક્યુ રીલિઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા અંગેના વિવિધ ઉપાયો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.
આ ઉપરાંત હાલ ગુજરાતમાં બ્રિડીંગ સેન્ટર ખાતે બ્રિડીંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલ વન્યપ્રાણીઓ બ્રિડીંગ માટે જરૂરીયાત મુજબના વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડીંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુકત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં વર્ષ 2017થી દર વર્ષે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર આપવા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2025માં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અંદાજે 17 હજારથી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે રાજ્યના નાગરિકો માટે સન્માનની ક્ષણ છે.
