ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય”અભિયાન: શૌચાલયોનું રંગ-રોગાન કરી સ્વચ્છતા જાગૃતિનો સંદેશ
Live TV
-
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ "હમારા શૌચાલય, હમારા ભવિષ્ય" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સામૂહિક અને વ્યક્તિગત શૌચાલયોનું વ્યાપક મરામત, સાફ-સફાઈ અને રંગરોગાન કરવામાં આવ્યું છે, જેમાં સુંદર ભીંતચિત્રો દ્વારા સ્વચ્છતા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને શૌચાલયના નિયમિત ઉપયોગ અને સ્વચ્છતાની સંસ્કૃતિ અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે, જેમાં ગ્રામ પંચાયતો સક્રિય સહયોગ આપી રહી છે.
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા સ્વચ્છતા અંગે લોકજાગૃતિ વધારવા માટે એક વિશેષ અને પ્રેરણાદાયી અભિયાન “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ ગામોમાં આવેલા તમામ સામૂહિક અને વ્યક્તિગત શૌચાલયોનું વ્યાપક મરામત, સાફ-સફાઈ અને સુંદર રંગરોગાન કરવામાં આવ્યું, જેથી શૌચાલયની સુવિધાઓને નવો ઓપ આપી શકાય અને નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય.
આ અભિયાનને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયતો, સ્થાનિક સ્વચ્છતા કમિટીઓ અને સ્વયંસેવકોનો સક્રિય સહયોગ મળ્યો. શૌચાલયોની દીવાલોને સુંદર ભીંતચિત્રોથી શણગારવામાં આવી હતી, જે સ્વચ્છતાના સંદેશાઓ આપે છે. આ સાથે જ, તૂટેલી ટાઇલ્સ, દરવાજા, અને પાણીની ટોટીઓ જેવી મૂળભૂત સુવિધાઓની મરામત કરીને શૌચાલયોને ફરીથી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યા. આ ઉપરાંત, નિકાલની યોગ્ય વ્યવસ્થા અને આસપાસના પરિસરની સંપૂર્ણ સફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના જૂના સાદુળકા, બાદનપર, વીરવાવ જેવા ગામોમાં સામુહિક શૌચાલયોને સુશોભિત કરવામાં આવ્યા, જ્યારે વલસાડના બરઈ, ફણસા, તેમજ અમદાવાદ અને સુરેન્દ્રનગરના કેટલાક ગામોમાં વ્યક્તિગત શૌચાલયોનું પણ રંગરોગાન કરવામાં આવ્યું.
“હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” ની થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને શૌચાલયના નિયમિત ઉપયોગ, સમયસર જાળવણી, હાથ ધોવાની આદત અને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ, સ્વચ્છતા પ્રતિજ્ઞા અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ અભિયાન દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો છે કે વિશ્વ શૌચાલય દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ સ્વચ્છતા માટેની સામૂહિક પ્રતિબદ્ધતાનો દિવસ છે. આનાથી ગામડાઓમાં સ્વચ્છતા અંગે નવો ઉત્સાહ જોવા મળશે અને લોકો શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરવા તથા સ્વચ્છતાની સંસ્કૃતિ અપનાવવા માટે પ્રેરિત થશે.
