ચૂંટણીની આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે કરાઈ ચર્ચા
Live TV
-
ગાંધીનગર : ચૂંટણીની આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે કરાઈ ચર્ચા
ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવેએ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં વિશેષ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુદ્દાસર ચર્ચા કરી હતી અને લોકશાહીના આ ઉત્સવમાં સૌને સહયોગી બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આદર્શ આચારસંહિતાના અમલીકરણ સંદર્ભે નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીજ્ઞાશાબેન વેગડાએ વિશેષ માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી ખર્ચ અંગેના નોડલ ઓફિસર સંજય મોદીએ ઉમેદવારોના ખર્ચ સંદર્ભે હિસાબો રાખવા અને સમયાંતરે હિસાબો રજૂ કરવા અંગે માહિતી આપી હતી. આ અવસરે જુદા જુદા ખર્ચ કરવા સંદર્ભના રેટ ચાર્ટ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે. એમ. ભોરણીયા, નાયબ ચૂંટણી અધિકારી પાર્થ કોટડીયા સહિતના અધિકારીઓ અને જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
