ચોટીલા તાલુકાના ખેરાણા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો, સમસ્ત ગ્રામજનોએ પ્રધાનમંત્રીના લાઈવ સંબોધનને નિહાળ્યું
Live TV
-
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ PMનું લાઈવ સંબોધન નિહાળ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બરે 'જનજાતીય ગૌરવ દિવસ'થી સમગ્ર દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને આ વિસ્તારના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ચોટીલા તાલુકાના ખેરાણા ગામે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ચોટીલા તાલુકાના ખેરાણા ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા થકી ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જેવી અલગ-અલગ ૧૭ યોજનાઓથી રાજ્યના દરેક નાગરિકો માહિતગાર બને અને આ યોજનાઓના લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના, કસ્તુરબા ગાંધી વિદ્યાલય, આયુષ ગ્રામ યોજના વગેરે વિશે ઉપસ્થિત સૌને વિસ્તૃત જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં શામજીભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોના સ્વાસ્થ્યને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળે છે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ચાર કરોડથી પણ વધારે પાકા મકાનો બનાવીને લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે. સજીવ ખેતી તરફ ખેડૂતો આગળ વધે તે પણ જરૂરી છે. આગામી દિવસોમાં નર્મદાના પાણી ખેડૂતોને મળશે તે માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમણે દરેક લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા જણાવ્યું હતું.
ખેરાણા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન યાત્રાનું સ્વાગત, પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રીના સંદેશને નિહાળ્યો હતો સાથે વિકસિત ભારત માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો.કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની મેરી ઝુબાની, ડ્રોન ડેમોસ્ટ્રેશન, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, 'ધરતી કહે પુકાર કે', સ્વચ્છતા ગીત જેવા ગીતોના ગાયન,તેમજ સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરોનું સન્માન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ લેન્ડ રેકોર્ડનું ૧૦૦% ડિઝીટાઇઝેશન, જલ જીવન મિશનના લાભો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ તેમજ આરોગ્ય કેમ્પના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેનો લાભ ગ્રામજનોએ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસના નિયામક, પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
