છોટાઉદેપુરઃ નાયબ વન સંરક્ષકને વનવિભાગની અસરકારક કામગીરી બદલ સન્માનિત
Live TV
-
છોટાઉદેપુર જિલ્લામાં જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ છે. વનવિભાગ દ્વારા જંગલોની જાળવણીની સાથે સાથે વન્યપ્રાણીઓનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. ટૂંકા ભૂતકાળમાં છોટાઉદેપુર જિલ્લામાં વન્યપ્રાણી દીપડા અને રીંછ દ્વારા માનવો ઉપર હુમલાના બનાવો બનવા પામ્યા છે.
માનવો અને પ્રાણીના ઘર્ષણમાં ત્રણ માનવ જીવ પણ ગયા છે. છોટાઉદેપુર વનવિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે નિલેશ પંડ્યાએ વન્યપ્રાણીઓના માનવ વસ્તીમાં પ્રવેશ અને હુમલાની ઘટનાઓમાં ખૂબ જ અસરકારક કામગીરી કરી પાંચ દીપડાઓને સફળતા પૂર્વક રેસક્યુ કરી માનવ જીવો સાથે વન્યપ્રાણીઓનું પણ જીવ બચાવ્યો છે.
સાથે સાથે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને તાત્કાલિક સરકારી સહાય પહોંચાડી પરિવારને ટેકો કર્યો છે. એટલું જ નહિ મોટી સઢલી ગામે ઘરમાં છૂપાયેલા દીપડાને પાંજરે પૂરવા નિલેશ પંડ્યાએ પોતાનો જીવ જોખમમાં મૂકી દિલધડક ઓપરેશન કર્યું હતું. જેમાં તેમને ઈજાઓ પણ પહોંચી હતી. 15 મી ઓગસ્ટે છોટાઉદેપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિલેશ પંડ્યા ને સન્માનિત કરાયા હતાં.
